visiter

મંગળવાર, 25 ડિસેમ્બર, 2012

હૃદયને સ્પર્શ કરી જાય તેવી વાત

એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.

એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’
‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને ?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’
‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.

હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?’
‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.
‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’

ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા.

સુતા પહેલા અચૂક વાંચવું : દુઃખનાં ૧૦ કારણો – મોરારિબાપુ



માણસની દુઃખી થવાની પૂર્વતૈયારી જ તેને દુઃખી કરે છે. જો તમે દિલ પથ્થર જેવું રાખશો તો બીજાની તમારા તરફ ફેંકેલી ચિનગારી તેને સળગાવી નહિ શકે અને તમે દુઃખી નહીં થાવ. પણ જો તમારું દિલ ઘાસથી ભરેલું હશે તો તમારા તરફ બીજાની ફેંકેલી ચિનગારી ભડકો જ કરશે તેમાં શંકા નથી. જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.

મારે ત્રણ વાત કહેવી છે.
[1] આપણે સુખ સ્વરૂપ છીએ છતાંય દુઃખી થઈએ છીએ. એનું કારણ છે આપણી ઈર્ષ્યા અને દ્વેષ.
[2] બીજું, લોભ પ્રકૃતિ. લોભને કારણે આપણા મનમાં આવતી લુચ્ચાઈ.
[3] જેનો રોટલો ખાતા હોઈએ એને દગો દેવાની વૃત્તિ.
આવું જીવો. પછી ભલેને દુનિયા તમને થ્રી ઈડિયટ કહે ! એની ચિંતા કરશો નહીં, અમુક દુઃખો આપણે જ ઉપજાવ્યા છે. પરમતત્વ પૂરેપૂરો આપણાં હૃદયમાં બિરાજમાન હોય છતાંય આપણે દુઃખી કેમ છીએ એ જેને સમજાય તેના હાથમાં સુખી થવાની કુંચી આવી જાય અને દુઃખી થવું મુશ્કેલ થઈ જાય. થોડી મૂઢતા ને અહંકાર મૂકીએ તો આપણાં જીવનમાં સુંદર રજવાડું પ્રગટે. ગમે તેવી પરિસ્થિતિને વિવેકથી સવળી કરવાના પ્રયત્નો કરો તો દુઃખી થવું અઘરું છે. જો કે સુખી થવાની સમજણ મેળવતા પહેલા દુઃખનાં કારણો સમજી લેવા પડશે. જીવ દુઃખી કેમ છે ? એ બહુ મોટો પ્રશ્ન છે. જીવતાં આવડે તો દુઃખી થવું અઘરું છે, સુખી થવું અઘરું નથી. સુખ તો આપણો સ્વભાવ છે. આનંદ આપણો સ્વભાવ છે પરંતુ આપણે દુઃખી થઈએ છીએ એનાં મુખ્ય કારણો નીચે મુજબ છે :

[1] કાળ :
ઘણીવાર કાળ આપણને દુઃખ આપે; જેમ કે શિયાળામાં બહુ ઠંડી પડે. માણસ કાળ પરિવર્તન કરી શકતો નથી. પણ જીવન પદ્ધતિમાં પરિવર્તન કરી શકે છે. બહુ ઠંડી પડે તો ધાબળો ઓઢો અને ગરમી હોય તો એનો ઉપાય કરાય. પણ સ્વભાવ માણસને દુઃખી કરે છે. આપણા દુઃખનું એક કારણ તો કાળ છે. ભગવાન કૃષ્ણે એને દુઃખાલય કહી દીધું. આ દુઃખનું આલય છે, આમાં તમે ગમે તેટલા ફાંફા મારો, દુઃખ જ રહેવાનું. કાળથી દુઃખ આવે, ધરતીકંપ થાય ને દુઃખ આવે, એમાં આપણે શું કરવાનું ? પંખાનું બટન ફેરવ્યું ને ધરતીકંપ થયો એવું થોડું છે ? કાળજનિત દુઃખ છે. અતિવૃષ્ટિ થઈ, કાળજનિત દુઃખ છે. અનાવૃષ્ટિ થઈ, કાળ દ્વારા કોઈ રોગ એક સાથે ફેલાઈ જાય, આખી દુનિયામાં દુકાળ પડે, એ બધું કાળ આધારિત છે. એમાં આપણું કંઈ ન ચાલે, તો આવા કાળ આધારિત દુઃખ માટે માણસે અફસોસ નહિ કરવો જોઈએ. હરિ ભજતાં ભજતાં એને સહીએ. એના માટે એમ કહીએ કે આમ કેમ ? એ ખોટી અજ્ઞાનતા છે.

[2] કર્મ :
બીજું દુઃખ કર્મ આધારે છે. આપણે જેવું કર્મ કરીએ એવું ફળ મળે. હવે કેટલાંક કર્મો એવાં છે કે આપણને યાદ હોય કે આ જન્મમાં આવાં કોઈ કર્મો કર્યાં નથી, છતાંયે દુઃખ મળે, તો એનો અર્થ એ છે કે જન્મજન્મનાં કર્મો પડ્યાં છે, એનું ફળ આવે છે, એમાંયે આપણું કંઈ ચાલે એમ નથી, કોઈ કર્મના ફળ હશે એ ભોગવીએ છીએ.

[3] ગુણ :
દુઃખનું ત્રીજું કારણ છે ગુણ – જે વસ્તુની બનાવટ જ ભેળસેળવાળી હોય, એ વસ્તુ સુખ આપી શકે નહિ. ‘बिधि प्रपंच गुन अवगुन साना’ (1-6/4) સાના એટલે માટીમાં જે પાણી ભળી જાય, પછી એના પિંડામાંથી માટલું બનાવો, જે ઘાટ ઘડવો હોય તે ઘડાય. જેમ માટી અને પાણી ભળી શકે, સાનાનો અર્થ થાય છે એકબીજામાં ઓતપ્રોત થઈ જવું. આ બ્રહ્માની સૃષ્ટિ જ ભેળસેળવાળી છે અને મૂળમાંથી જ જે ભેળસેળ હોય, એ આપણને સુખ શું આપી શકે ? ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણ ઉપર આધાર રાખે છે. પિત્તળના વાસણમાં છાશ રાખીએ તો તે કટાઈ જાય. આ મૂળ ધાતુ જન્ય ગુણ છે. ગુણ જન્ય દુઃખ મૂળ ધાતુના ગુણના લીધે ઉત્પન્ન થયેલ દુઃખ છે. સત, રજો અને તમો આ ત્રણ મૂળ ધાતુ ગુણ છે. સારા સગવડવાળા પલંગમાં ઊંઘ આવે એ તમોગુણ યોગ્ય છે, પણ કથા શ્રવણમાં ઊંઘ આવે તો તે તમોગુણ યોગ્ય નથી. રજોગુણ હોય તો જ આપણે પ્રવૃત્તિ કરીએ. કામના સમયે રજોગુણ યોગ્ય છે પણ ઊંઘવાના સમયે જો રજોગુણ આવે તો ઊંઘ ન આવે. આ દુઃખ છે. પૂજાપાઠ સમયે સતોગુણ ઉપયોગી પણ જો આ સમયે જો રજોગુણ કે તમોગુણ આવે તો તે યોગ્ય નથી. આમ રજો, તમો અને સતગુણ જો તેના યોગ્ય સ્થાને હોય તો તે યોગ્ય જ છે પરંતુ ભેળસેળ થાય એમાંથી દુઃખ જન્મે.

[4] સ્વભાવ :
દુઃખનું જે ચોથું કારણ છે, તે આપણા કાબૂની વસ્તુ છે. અને આપણે એમાં ફેરફાર કરી શકીએ. તુલસીદાસજી દુઃખનું ચોથું કારણ કહે છે સ્વભાવ. સ્વભાવ દ્વારા જે દુઃખ ઊભું થાય, એ આપણા હાથની વાત છે. એમાં આપણે ફેરફાર કરી શકીએ. ઘણાં માણસો એવા હોય છે કે દુઃખ હોય તોયે સ્વભાવને લીધે સુખ બનાવી દે. ઘણાં એવા હોય કે બધી રીતે સુખ હોય, પણ સ્વભાવને લીધે દુઃખ બનાવી દે. એને તમે શું કરો ? બધી રીતનું સુખ હોય, શાંતિ હોય, કોઈ રીતનું દુઃખ ન હોય તોયે બબડતાં હોય કે….મરી ગયાં… આમ થઈ ગયું… તેમ થઈ ગયું…. તો હવે આવા દુઃખનો જવાબદાર તો એ જ છે, બીજો કોઈ હોઈ શકે જ નહિ. સ્વભાવગત છે. આમાં કોઈ દેશ, ભાષા, સંપ્રદાય ન કારણ બની શકે, પણ સ્વભાવ દ્વારા દુઃખ ઉત્પન્ન થાય, એ આપણા કાબૂની વાત છે. ઘણાં માણસો દુઃખી હોઈ, એકલા હોય તો વાંધો નહિ. આપણી સાથે રહી આપણા પર ઢોળી નાંખે, દુઃખ વહેંચતો જાય. આ સ્વભાવનું કારણ છે.

[5] પ્રભાવ :
બીજાનો પ્રભાવ જે આપણાથી સહન નથી થતો, એમાંથી દુઃખ જન્મે છે. બીજાના પ્રભાવનું આપણને દુઃખ હોય છે અને એમાંય સમક્ષેત્રમાં તો બહુ જ. એક ગાયક હોય ને, બીજો પણ ગાયક હોય. એમાં એક ગાયક કરતાં બીજા ગાયકનો પ્રભાવ શ્રોતાવર્ગ ઉપર વધારે થાય તો પેલાને દુઃખ થાય. બીજાનો પ્રભાવ મારા ને તમારા જીવનમાં દુઃખ જન્માવે. આ માણસ આટલો પ્રભાવશાળી ? આ માણસ આટલો મહિમાવંત ? જ્યાં જાય ત્યાં એનો પ્રભાવ પડે. ગમે ત્યાં જાય એનો હોકો પડે એ આપણાંથી સહન નથી થતું. આ દુનિયા બહુ સમજુ છે. મેં જોયું છે ઘણી વખત દીકરાનો પ્રભાવ બાપાથી સહન નથી થતો કે મારો દીકરો આટલો મહાન થયો. એનો પોતાનો બાપ સહન નથી કરી શકતો. પતિનો પ્રભાવ પત્ની સહન ન કરી શકે કે પતિની જ વાહ વાહ થાય એ પત્નીથી સહન ન થાય. કોઈક ઘરમાં પત્નીનો એટલો બધો પ્રભાવ હોય તો પતિ સહન ન કરી શકે. બીજાનો પ્રભાવ જોઈને થતી જલન, દ્વેષ, ઈર્ષ્યા એ આપણા દુઃખનું કારણ હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આવું બને. ઘર, કુટુંબ, સમાજ, વ્યવસાય એમ દરેક ક્ષેત્રમાં વ્યક્તિ બીજાનો પ્રભાવ સહન કરી શકતો નથી. કોઈની સહેજ પ્રશંસા થાય કે ઈર્ષાથી સળગી ઊઠે. આમ, પ્રભાવ સહન ન થવો તે આપણાં દુઃખનું કારણ બને છે.

[6] અભાવ :
દુઃખનું અન્ય એક કારણ છે અભાવ. અમારી પાસે આ વસ્તુ નથી. કપડાં નથી, રોટી નથી, મકાન નથી, ઉત્સવ હોય ત્યારે અમે ફરી શકતાં નથી. અમે અમારા છોકરાંને બરાબર ભણાવી શકતાં નથી. કોઈ બીમાર પડે તો દવા, અમુક વસ્તુઓનો અભાવ એ દુઃખનું કારણ છે. એની પાસે છે એટલું અમારી પાસે હોત તો અમે આમ કરત, તેમ કરત. અભાવ, પણ મારી દષ્ટિએ બધા પ્રાથમિક સૂત્રો છે. બુદ્ધનું આર્યસત્ય સમજવા માટેનું કદાચ પહેલું પગથિયું છે. અભાવ દુઃખ આપે. સમયનો અભાવ દુઃખ આપે, પૈસાનો અભાવ દુઃખ આપે, કોઈ પણ અભાવ દુઃખ આપે.

[7] નિભાવ :
નિભાવ પણ દુઃખનું એક કારણ છે. નિભાવ નથી થતો. અમે આટલી ભલાઈ કરીએ છીએ પણ અમારી ભલાઈની કોઈ અસર થતી નથી. સમયનો નિભાવ થતો નથી, સંબંધનો નિર્વાહ નથી થતો. અમે આટલો સંબંધ રાખ્યો પણ સામાવાળા બસ સંબંધને નિભાવતા જ નથી. આ નિભાવમાંથી દુઃખ જન્મે. નિભાવ નથી થતો. પતિ-પત્ની, ભાઈ-ભાઈ આ બધા વચ્ચે જેટલાં દ્વંદ્વો દેખાય છે તેનું કારણ છે નિભાવ. લોકો કહે ભાઈ અમારે ઘણું કરવું પણ સમય નથી મળતો, સમય નિભાવી શકતાં નથી, સંસ્કારોનો નિર્વાહ કરી શકતાં નથી.

[8] કામના :
ઈચ્છાઓનાં અનંતપણાથી દુઃખોનો જન્મ થાય છે. ઈચ્છા સદા સગર્ભા હોય છે. યોગીઓમાં પણ ઈચ્છા હોય છે, પણ તેનું સર્ગભાપણું દૂર કરી તેનો ગર્ભપાત કરાવી નાખે છે. ઈચ્છામુક્ત થઈ જાય છે. નિરપેક્ષ અને અનપેક્ષ થઈ જાય છે. બાકી ઈચ્છા તો દુઃખને જ જન્મ આપે છે. ખરેખર, જેટલી ઈચ્છા વધારે કરો, પછી રામ વનવાસ જઈને જ રહેશે. સુખ મેળવવાની ચાહના જ દુઃખ આપે છે. સુખ મેળવવા માટે જ દુઃખ પેદા થાય છે. સુખના પ્રયત્નો કરવા જતાં જ દુઃખ આવે છે. અતિત દુઃખ આપે છે, ભવિષ્ય ચિંતા ઉપજાવે છે જ્યારે વર્તમાન જ માણસને વ્યવહારુ બનાવે છે. એક સત્યને ભૂલવું નહીં કે સુખનો અતિરેક અંતે દુઃખમાં જ પરિણમે છે. દૂધપાકનો એક પ્યાલો પીએ તો સુખ મળે. બે-ત્રણ પીએ તો પણ સુખ મળે, પણ જો દસ-બાર પ્યાલા પીએ તો કદાચ બીમાર પણ પડી જઈએ. જીવનનું પણ આવું જ છે. સુખની અનંતકામનામાંથી દુઃખનો જન્મ થાય છે.

[9] ભૂલ :
ભૂલના કારણે દુઃખ આવે છે. ભૂલના કારણે જે દુઃખ આવે છે, તે ભૂલ મટવાથી સમાપ્ત થઈ જાય છે. તમે વ્યપારી છો. હિસાબમાં ભૂલ થાય છે, તો તમે દુઃખી થઈ જાવ છો. આ દુઃખનું નિવારણ ફિલ્મ, સંગીત કે કથા નથી. ત્યારે ટીવી ચાલુ હશે તો પણ સુખ નહીં મળે. પણ મુનિમજી આવીને ભૂલ બતાવશે કે સુધારી દેશે, તો તરત તમે સુખી થઈ જશો. કહેશો-ટીવી ઓન કરો. હિસાબ બરાબર થઈ ગયો. તમે સુખી થઈ ગયા. આપણા જીવનના મોટા ભાગનાં દુઃખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુઃખો ટકાઉ નથી. ભૂલ સુધરી. દુઃખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું ફળ સત્ય બોલો તો દુઃખ ગયું. દુઃખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુઃખ ગયું. આ પાકું સૂત્ર છે. આ બધાં સૂત્રો નિંભાડામાંથી નીકળેલ પાકી ઈંટો છે. તેનાથી તો પ્રસાદ (ભવન) બની શકે છે.

[10] ભય :
તમે જાણો છો કે આ કરવા જેવું નથી, છતાં તમો કરો છો તેથી તમને દુઃખ થાય છે. શું બધા નથી જાણતા કે ખરાબ નજર કરવી બરાબર નથી ? છતાં બધા કરે છે. સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુઃખ ઉત્પન્ન કરે છે. અધર્મ દ્વારા જે ધન ઉપાર્જન કરો છો તો ધન ભય જ આપશે. તમારી દષ્ટિમાં તે સુખ હોઈ શકે, પણ ભય તો કરશે જ. ટ્રેનમાં જે ટિકિટ જોવા આવે છે, તે જો કોઈ પાસેથી વધારાના કે ખોટા પૈસા લેશે તો તે ભયભીત રહેશે. પણ કુલીને કોઈ ભય નહીં હોય. પૈસા વધારે લેવાવાળો અધર્મ કરે છે, તો સૂક્ષ્મ ભય તેના પાછળ હોવાનો જ. ચેન નહીં મળે. અધર્મના આશ્રયથી કરેલ ભોગ બે વસ્તુ આપશે : રોગ અને અપયશ. અધર્મની છાયામાં ધર્મ પણ કરશો, તો તે પણ વિનાશ જ કરશે. અધર્મના આશ્રયથી આવેલ ધન તમે પુણ્યમાં લગાવશો, છતાં હિસાબ પૂરો નહીં થાય. તે આપણામાં જડતા, વિકાર, અનિત્યના વગેરે ગરબડો પણ ઊભી કરશે. આપણે દષ્ટા નથી. જે દ્રષ્ટા બને છે તેમનું દુઃખ સમાપ્ત થઈ જાય છે.

દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો...!


૧..લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.

૨.. કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે... હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે

૩. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કો
ઈને કશું જ કહેવા માંગતી નથી!

૪. દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી. એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારામાંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે, હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે, હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે, સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે. પણ, હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે. ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

૫. સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું......!!! પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ જાય છે! પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે...

૬. દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે... એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે પણ, દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે...! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો? દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે... પણ, દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે...

ખુબ જ રસપ્રદ અને હૃદયસ્પર્શી પ્રસંગ - "કરિયાવર"

હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રવેશ કર્યો…. ‘સાંભળ્યું ?’

અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.

“આપણી સોનલ નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.

સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.”

સોનલ એમની એકની એક દીકરી હતી..

ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .

હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.

સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી.

એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી,

હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ…

અને કાયમ કહેતા ‘બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.’

બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.

લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.

હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું

‘બેટા તારા સસરા સાથે મારી વાત થઇ…એમણે કરિયાવરમાં કઈ જ લેવાની નાં કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી .

તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું…તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.’

‘ભલે પપ્પા’ – સોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.

સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી, સર્વે નાં હરખનો પાર નથી.

ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી ફેરા ફરવાની ઘડી આવી….

કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયે થી બે શબ્દો નીકળ્યા

‘ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’

“પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ…

પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…

એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…

જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !

જો હું તમારો દીકરો હોત તો આટલું તો કરેત જ ને !!! “

હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી …

“પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?”

હરીશભાઈ ભારે આવાજમાં -”હા બેટા”, એટલું જ બોલી શક્યા.

“તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો….

તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો.

બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.”

દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?

લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે પણ આજે તો જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ

દુરથી હું સોનલનાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો….

૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ….

સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું ??

પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,

“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય ???”

સોમવાર, 24 ડિસેમ્બર, 2012

સચિનના રેકોડ્ર્સ



  •  : સૌથી વધુ વન-ડે (૪૬૩)
  •  : સૌથી વધુ વન-ડે રન (૧૮,૪૪૬)
  •  : સૌથી વધુ સદી (૪૯)
  •  : સૌથી વધુ અડધી સદી (૯૬)
  •  : સૌથી વધુ ફોર (૨,૦૧૬)
  •  : વન-ડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી
  •  : વન-ડેમાં ૧૦ હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર
  •  : વન-ડેમાં ૧૮ હજાર બનાવનાર એકમાત્ર ક્રિકેટર
  •  : સાત વખત કેલેન્ડર યરમાં એક હજાર રન નોંધાવનાર એકમાત્ર પ્લેયર
  •  : એક દેશ સામે ત્રણ હજાર રન ફટકારનાર સચિન એકમાત્ર ક્રિકેટર
  •  : એક ઇનિંગ્સમાં સૌથી વધારે ફોર (૨૫)
  •  : વન-ડેમાં ૧૫૦ના સ્કોરને પાંચ વખત પાર કરનાર પ્રથમ ક્રિકેટર
  •  : એક દેશ સામે સૌથી વધુ સદી (ઓસ્ટ્રેલિયા સામે ૯)
  •  : ફાઇનલ મેચમાં સૌથી વધુ સદી (૬)
  •  : વન-ડેમાં ૧૪૧ વખત ૫૦ના સ્કોરને પાર કરનાર એકમાત્ર ક્રિકેટર
  •  : વર્લ્ડકપમાં સૌથી વધારે અડધી સદી (૨૧)
  •  : સૌથી વધારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ (૬૨ વખત)
  •  : સૌથી વધારે મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ (૧૭ વખત)
  •  : એક કેલેન્ડરવર્ષમાં સૌથી વધારે રન (૧૮૯૪, ૧૯૯૮)
  •  : એક કેલેન્ડરવર્ષમાં સૌથી વધારે સદી (૯ સદી, ૧૯૯૮)
  •  : વર્લ્ડકપમાં સૌથી વધારે રન (૨,૨૭૮)
  •  : વર્લ્ડકપમાં સૌથી વધારે અડધી સદી (૧૩)
  • : વર્લ્ડકપમાં સૌથી વધારે સદી (૬)
  • : એક વર્લ્ડકપમાં સૌથી વધારે રન (૬૭૩ રન, ૨૦૦૩)
  •  : વર્લ્ડકપમાં સૌથી વધારે મેન ઓફ ધ મેચ એવોર્ડ
  •  : એક દેશ સામે સૌથી વધારે મેન ઓફ ધ મેચ (ઓસ્ટ્રેલિયા સામે, ૧૦ વખત)
  •  : સૌથી વધારે ૯૦ સ્ટેડિયમમાં રમવાનો રેકોર્ડ
  •  : સતત ૧૮૫ વન-ડે રમનાર એકમાત્ર પ્લેયર
  •  : મુખ્ય દેશો સામે એક હજાર રન નોંધાવનાર પ્રથમ ક્રિકેટર
 

રવિવાર, 23 ડિસેમ્બર, 2012

માસ્ટર બ્લાસ્ટર સચિનની ટોપ-10 ઈનિંગ્સ



                                       ૨૦૦* રન, વિ. દક્ષિણ આફ્રિકા, ગ્વાલિયર, ૨૦૧૦
                                        ************************************
સચિન તેંડુલકરની શ્રેષ્ઠ ઇનિંગ્સની વાત આવે તેમાં દક્ષિણ આફ્રિકા સામે ગ્વાલિયરમાં રમાયેલી ૨૦૦ રનની ઇનિંગ્સને પ્રથમ ક્રમ આપવામાં આવે છે. સચિને વન-ડે ઇતિહાસની પ્રથમ બેવડી સદી ફટકારી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. સચિનના ૧૪૭ બોલમાં ૨૦૦ રનની મદદથી ભારતે ૪૦૧ રન બનાવ્યા હતા. ભારતનો આ મેચમાં ૧૫૩ રને વિજય થયો હતો.

                                         ૧૭૫ રન, વિ. ઓસ્ટ્રેલિયા, હૈદરાબાદ, ૨૦૦૯
                                         **********************************
સચિનની લડાયક ઇનિંગ્સની વાત ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની ૧૭૫ રનની ઇનિંગ્સની વાત ન કરીએ તો યોગ્ય નથી. આ ઇનિંગ્સ દરેક ક્રિકેટરો માટે પ્રેરણાસ્રોત સમાન છે. ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૩૫૦ રનનો જંગી સ્કોર ખડક્યો હતો. સચિનની લડાયક બેટિંગની મદદથી ભારત એક સમયે વિજયની નજીક પહોંચી ગયું હતું્, જોકે ભારત ફક્ત ૩ રન માટે હારી ગયું હતું. આ પરાજય છતાં સચિનની શ્રેષ્ઠ ઇનિંગ્સની વાત આવે ત્યારે આ ૧૭૫ રનનો ઉલ્લેખ અવશ્ય થાય છે.
                                          ૧૪૩ રન. વિ. ઓસ્ટ્રેલિયા, શારજાહ, ૧૯૯૮
                                          ********************************
સચિનની આ જાદુઈ ઇનિંગ્સથી ભાગ્યે જ કોઈ ક્રિકેટપ્રેમી અજાણ હશે. સચિનની આ ઇનિંગ્સ આજેય દરેક ક્રિકેટપ્રેમીઓની આંખ સામે દેખાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૮૪ રન બનાવ્યા હતા. ભારતને કોલાકોલાની ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે ૨૩૭ રનની જરૃર હતી. આ સમયે સચિન એકલો અડીખમ ઊભો રહી ઓસ્ટ્રેલિયાના શેન વોર્ન, ફ્લેમિંગ જેવા દિગ્ગજ બોલરોને ધોળા દિવસે તારા બતાવ્યા હતા. સચિને ૧૩૧ બોલમાં ૧૪૩ રન બનાવી ભારતને શાનથી ફાઇનલમાં પહોંચાડયું હતું.

                                              ૧૩૪ રન, વિ. ઓસ્ટ્રેલિયા, શારજાહ, ૧૯૯૮
                                              ********************************
એકલા હાથે ટીમને ચેમ્પિયન કઈ રીતે બનાવી શકાય તે સચિને આ મેચમાં સાબિત કર્યું હતું. ફરી એક વખત સચિનનાં આક્રમણનો ભોગ ઓસ્ટ્રેલિયાની ટીમે બનવું પડયું હતું. કોકાકોલાની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ૨૭૨ રન બનાવ્યા હતા. જવાબમાં સચિને ૧૩૧ બોલમાં ૧૩૪ રનની લડાયક ઇનિંગ્સ રમતાં ઓસ્ટ્રેલિયાના હાથમાં આવેલી ટ્રોફી છીનવી લીધી હતી.

                                                          ૯૮ રન, વિ. પાકિસ્તાન, ૨૦૦૩
                                                          ************************
સચિનને વન-ડેમાં ૪૯ સદીઓ ફટકારી છે પણ શ્રેષ્ઠ ઇનિંગ્સની વાત થાય ત્યારે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની ૯૮ રનની ઇનિંગ્સ મેદાન મારી જાય છે. સચિનની આ ૯૮ રનની ઇનિંગ્સ જોઈને આજે પણ પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થઈ જાય છે. ૨૦૦૩ના વર્લ્ડકપમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં ૨૭૩ રન બનાવ્યા હતા. વસિમ અકરમ, વકાર યુનિસ અને શોએબ અખ્તરના આક્રમણ સામે પડકાર લોઢાના ચણા ચાવવા સમાન હતો. ભારતે સેહવાગ અને ગાંગુલીની વિકેટ સસ્તામાં ગુમાવી દેતાં મુશ્કેલીમાં મુકાયું હતું, જોેકે સચિને ૭૫ બોલમાં ૯૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી ભારતને વિજય અપાવ્યો હતો. આ મેચમાં અખ્તરની ઓવરમાં સચિને મારેલી સિક્સરની ગણના શ્રેષ્ઠ સિક્સરોમાં થાય છે.

                                                 ૧૪૦* રન, વિ. કેન્યા, બ્રિસ્ટોલ, ૨૦૦૩
                                                 ****************************
કેન્યા સામે ફટકારેલ આ સદીને ઇમોશનલ સદી પણ ગણી શકાય. ક્રિકેટ પ્રત્યે સચિન કેટલો સમર્પણ છે તે સદી દ્વારા સાબિત થયું હતું. ૨૦૦૩ના વર્લ્ડકપમાં સચિનના પિતાનું નિધન થતાં તે ભારત પરત ફર્યાે હતો અને જરૃરી વિધિ પતાવી બે જ દિવસમાં મેદાનમાં પરત ફર્યાે હતો. આવા દુખદ સમયમાં પણ સચિને શાંત ચિત્તે બેટિંગ કરી સદી ફટકારી હતી. સચિનને ભારત દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે તે આ મેચમાં દેખાઈ આવે છે.

                                             ૧૪૧ રન, વિ. પાકિસ્તાન, રાવલપિંડી, ૨૦૦૪
                                              *********************************
સચિન પ્રત્યે એવી ખોટી માન્યતા પ્રવર્તે છે કે તે દબાણમાં બેટિંગ કરી શકતો નથી, જોકે પાકિસ્તાન સામેની આ ઇનિંગ્સ આવી તમામ વાતોની ખોટી સાબિત કરે છે. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં ૩૨૯ રન બનાવ્યા હતા. આ સમયે આ સ્કોરને પહાડ સમાન ગણવામાં આવતો હતો. સચિને ૧૪૧ રનની અડીખમ ઇનિંગ્સ રમી ભારતને જીતની નજીક લાવી દીધું હતું, જોકે સહેજ માટે ભારતનો પરાજય થયો હતો.

                                          ૧૬૩* રન, વિ. ન્યૂઝીલેન્ડ, ક્રાઇસ્ટચર્ચ, ૨૦૦૯
                                          **********************************
સચિન દેશમાં જ નહિ વિદેશની ભૂમિમાં પણ શ્રેષ્ઠ ઇનિંગ્સ રમવામાં નિષ્ણાત છે તે આ વાતનો પરચો આ ઇનિંગ્સે બતાવ્યો હતો. ન્યૂઝીલેન્ડની બાઉન્સી પિચો ઉપર સચિને ૧૩૩ બોલમાં ૧૬ ફોર અને ૫ સિક્સર સાથે ૧૬૩ રન ફટકાર્યા હતા. સચિન આ મેચમાં રિટાયર્ડ હર્ટ ન થયો હોત તો સઈદ અનવરનો રેકોર્ડ ૨૦૦૯માં તૂટી ગયો હોત તેમ કહેવું યોગ્ય ગણાશે. જોગાનુજોગ અનવરનો રેકોર્ડ સચિને જ તોડયો હતો.

                                                ૧૨૦ રન, વિ. ઇંગ્લેન્ડ, બેંગલોર, ૨૦૧૧
                                                *****************************
વર્લ્ડકપ-૨૦૧૧માં ઇંગ્લેન્ડ સામે સચિને ૧૨૦ રનની શાનદાર ઇનિંગ્સથી રમી હતી. આ ઇનિંગ્સનું મહત્ત્વ એટલા માટે છે કે આ મેચ બાદ ભારત રિધમમાં લોટયું હતું. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ૩૩૮ રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ ૩૩૮ રન બનાવી મેચ ટાઇ કરવા સફળ રહ્યું હતું,

                                                   ૧૨૦ રન, વિ. શ્રીલંકા, કોલંબો, ૧૯૯૯
                                                   ****************************
સચિન ખરાબ ફોર્મમાં હતો તે સમયે શ્રીલંકાની સ્પિન પિચો પર જે રીતે સચિને શાનદાર ૧૨૦ રન બનાવ્યા હતા તે બદલ આ ઇનિંગ્સને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. સચિનના ૧૪૧ બોલમાં ૧૨૦ રનની મદદથી ભારતે ૨૯૬ રન બનાવ્યા હતા. ભારતનો આ મેચમાં ૨૩ રને વિજય થયો હતો.

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

બાદશાહ ઔરંગઝેબના સાચા વ્યક્તિત્વની તલાશ.

   .   ભાગ:2( કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ )
વિરોધાભાસી પગલાં
ઔરંગઝેબે વડનગરનાં હાટકેશ્વર માહાદેવના મંદિરથી લઈને દ્વારકાના જગતમંદિર ઉપરાંત સોમનાથ મંદિર અને કાશીવિશ્વનાથ મંદિરને તોડી પાડવાનાં ફરમાન કર્યા જરૂર,પણ પ્રત્યેકની પાછળ કહાણી અવ્શ્ય હોવી જોઈએ.જેમકે દ્વારકાના મુઘલ થાણા પર લોકોએ હુમલો કરીને થાણેદારને મારી નાંખ્યા પછી ઔરંગઝેબે દ્વારકાના મંદિરને તોડી પાડવાનો હુકમ આપ્યાનું ,મુઘલકાલ,ના પૂષ્ઠ 85 પર નોંધાયું છે.રાજપૂત અને હિંદુ સરદારો ઔરંગઝેબની સામે થયા ત્યારે એણે કટ્ટર મુસ્લિમ શાસક તરીકે પોતાની જાતને પેશ કરીને તમામા મુસ્લિમોને પોતાના સમર્થનમાં લેવાની રાજકીય વિવશતાને અનુસરવાનું પસંદ કર્યાનું પણ ઈતિહાસે નોંધાયું છે.         જે ઔરંગઝેબે મંદિરો તોડાવ્યાં ,એજ ઔરંઝેબે અનેક ઠેકાણે હિંદુ મંદિરો બાંધવા ,સમારકામ કરાવવા કે આત્મનિર્ભર કરવા માટે આર્થિક સહાય કરી છે.એટલુંજ નહીં ,જાગીરો પણ આપી છે..ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદની શોધન પત્રિકા ઈતિહાસ(જાન્યુઆરી 1992)માં સતીશચન્દ્રના ઔરંગઝેબ કે શાસન કે ઉત્તરાર્ધમેં ઉસકી ધર્મ નિતિ કુછ વિચાર નામક શોધ લેખમાં આવા ફરમાનોની વિગતો આપી છે.
જજિયાવેરો અને મુક્તિ:      
 ખલનાયક ગણાતા ઔરંગઝેબે પોતાના વહીવટી અને આર્થિક  આવષ્યકતાના ભાગ રૂપે જજિયાવેરો અમલમાં લાવવાનું પસંદ કર્યું એ વત સાચી ,પણ મરાઠા શાસકો પણ ચોથ ઉઘરાવતા હતા એ વાતને કેમ વિસારે પડાય? ઔરંગઝેબના જજિયાવેરા સામે પ્રજાના સામુહિક વિરોધનો કોઇ કિસ્સો નોંધાયો નથી.જોકે ગંગા કે અન્ય તિર્થોમાં નહાવાવાળાઓ કે મદડાનાં અસ્થિ ગંગામાં વહાવવા લઈ જનારા હિંદુ પાંસેથી કોઇ જાતનો કર લેવામાં આવતો નહોતો.જીવન જરુરી  એવી 54 ચીજ વસ્તુઓ માટે ઔરંગઝેબે 1673માં મહેસુલ મુક્તિ જાહેર કરી હતી.ખુદ જદુનાથ સરકારે મુઘલ એડમેનીસ્ટ્રેશનમાં નોંધ્યું છે કે શાહજહાં અને ઓરંગઝેબના સમયમાં કોઈ પણ સૂબેદાર જબરદસ્તીથી નાણા વસુલવાની કે પ્રજાને કનડગત કરતો હોવાની ફરિયાદ બાદશાહનાં કાને પડે તો રાજના લાગતા વળગતા કર્મચારી કે સૂબેદારની હકાલપટ્ટી થતી.જો કે ઔરંઝેબના કાળમાં કયારેક બાદશાહનાં આદેશ પળાતા નહોતા.(પૂ.10     મનસુખલાલ પોટા નોંધે છે: ઔરંગઝેબે હિંદુઓને પોતાના દરબારમાં નોકરીઓ આપી હતી એટલુંજ નહીં ,હાથી,ઘોડા, ગાયો,તથા જમીન અને ગામોનાં ઈનામ પણ આપ્યાં હતાં.સતીદાસ સાથે બાદશાહે ગુજરાતના લોકો ઉપર ફરમાન મોકલ્યું હતું;અને તેમાં હિંદુ તથા મુસલમાનને એકસરખા ગણવાનો હુકમ કરેલો હતો.જજિયાવેરો લશ્કરમાં જોડાનારા હિંદુએ ચૂકવાવો પડતો નહોતો. જજિયાવેરો વધુમાં વધુ 20 રૂપિયા હતો.મધ્યમ અને કનિષ્ઠ વર્ગનાં માટે અનુક્રમે 6 રૂપિયા 3 રૂપિયા હતો.લશ્કરી નોકરી સાધુબાવા ,બ્રાહ્મણો,વીસ વરસથી નાની ઉમરના અને પચાસ વર્ષથી વધુ વયનાં,સ્ત્રીઓ,અપંગ,માંદાઓ વગેરેને કરમાંથી મુક્તિ હતી.આ કર આપવા માટે હિંદુ પ્રજા નારાજ હોય એવો એક પણ દાખલો નથી.(ઔરંગઝેબ 1920)હિંદુદ્રેષી લેખાતો બાદશાહ ઔરંગઝેબ હમેશા ગંગા નદીનુંજ પાણી પીતો.અને યુરોપનાં ષ્રેષ્ઠ દારૂ કરતાં ગંગા જળને વિશેષ ચાહતો.ઊંટો પર ગંગા જળ મંગાવવાની તેના માટે ખાસ વ્યવસ્થા તેના માટે યુધ્ધનાં દિવસોમાં પણ રહેતી.     કેફી પદાર્થો અને ચીજોનું ઉત્પાદન બંધ કરાવવા ના પક્ષધર ઔરંગઝેબે ભાંગના છોડોનું વાવેતર બંધ કરાવવા માટેનું ફરમાન ગુજરાતનાં દીવાન રહમતખાન પર મોકલ્યું હતું.વળી 20 નવેંબર 1665નાંફરમાન અન્વયે અસંખ્યાબંધ ગેર કાનૂની અને પ્રજા વિરોધી વેરાને એણે નાબૂદી કરી હતી.પ્રજાનાં સામાજિક અને ધાર્મિક ઉત્સવો સામે મનાઈ ફરમાવવાના એના હુકમ સામે  ઊહાપોહ મચવો સ્વભાવિક હતો.પણ બાદશાહનાં પોતાના તર્ક રહેતા.પાંચમ ,અમાસ,અને એકાદશીએ દુકાનો બંધ રહેતાં પ્રજાને અગવડ પડતી હોવાથી તેણી બધો વખત દુકાનો ખુલ્લી રાખવા ફરમાવ્યું હતું.(મોઘલ કાળ:ભો.જે.વિદ્યમાન).
શાંતિદાસ ઝવેરી ને જૈન તીર્થો. 
   જે ઔરંગઝેબે કયારેક સરસપુરના મંદિરને તોડાવીને મસ્જિદમાં ફેરવી નાંખવાનો હુકમ આપ્યો હતો, એજ આલમગીર 1660નાં ફરમન થકી જૈન શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય,ગિરનાર અને આબુના જૈનતિર્થોની સોંપણી ,જૈનસંઘ પ્રતિનિધી તરીકે ,તેમને કરેછે.બાદશાહ ફરમાવે છે કે આ પ્રદેશમાં કોઇ માંડલિક રાજાઓ  શાંતિદાસના કાર્યોમાં હરકતો ઉભી કરશે તો તેઓ રાજ દંડને પાત્ર થશે.ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત પાદશાહના સાશનમાં  આવું મહત્વનું ફરમાન નીકળ્યુંએ રાજ કારોબારમાં શાંતિદાસનો જે પ્રભાવ હતો તેનું સુચક હોવાનું પણ નોંધાયું છે.હિંદુઓની જેમજ પારસીઓ પર પણ જજિયાવેરો લાદવામાં આવ્યો હતો.પણ સુરતનાં દાનવીર રુસ્તમ માણેકે બાદશાહ સમક્ષ રજૂઆત કરી એટલે 10 ઓગસ્ટ 1658ના ફરમાનથી પારસીઓ પરનો જજિયા વેરો રદ કરાયો હતો.
વડનગર_ સુરતની લૂંટો
ઔરંગઝેબના સમયમાં સુવર્ણ નગરીતરીકે લેખાતાં વડનગર તથા વિસલનગર(વીસનગર)ને મેવાડનાં રાણાનાં યુવરાજ ભીમસિંહે લૂંટવા અને વિનાશ સર્જવાનું કર્તુત વેર વાળવા કર્યાનું ઇતિહાસે નોંધાયું છે.એવાજ સમૃધ્ધ નગર સુરતને બબ્બે વાર (1664અને1670) શિવાજીએ લૂંટયું એટલુંજ નહીં ,હિંદુ_ મુસ્લિમ લોકોની કત્લેઆમ ચલાવવામાં કોઇ મણા રાખી નહીં હોવાનું શિવકાલીન _પત્રસારસંગ્રહ (હોલકલ સરકાર પુસ્તક માલા:પ્રકાશક :રાયગડ સ્મારક મંડળ આણિ ભારત ઇતિહાસ સંશોધક મંડળના મંત્રીઓ ન.ચિ.કેલકરાને દત્તાત્રેય વિષ્ણુ આપ્ટે,વર્ષ1930)માં નોંધાયું છે.અહીં પ્રશ્ન ઉઠેછે કે  ફાધર એમબ્રોસની વિનવણીથી શિવાજીએ ખ્રીસ્તીઓનું કેમ રક્ષણ કર્યું?દર વર્ષે મરાઠી સૈનિકો ગુજરાતનાં વડનગરમાં ધાડ પાડવા ઉતરી આવતા હતા.અઢારમાં સૈકામાં આવા સૈનિકો માટે અરબી શબ્દ ગનીમ(ધાડપાડુ)પ્રચલ્લિત થયાનું મુઘલકલ( પુષ્ઠ : 245)માં નોંધાયું છે.મિરાતે અહમદીપણ ઉમરેઠ અને વડનગર કસ્બાને ગુજરાતની બે સોનાની પાંખો ગણાવે છે.કારણ એ વેળા ત્યાં ધનિક બ્રાહ્મણો વસતા હતા.ઔરંગઝેબનાં શાસન તળેનાં આ સુવર્ણ નગરોને લુંટવા કયારેક મેવડનાં રાણાના વંશજ તો કયારેક વળી મરાઠા સૈનિકો ચડી આવત હતા.તેઓ હિંદુ ધર્મી હતા એ વાતનું સ્મરણ કરવવાની જરુરત ખરી?            ખુદ શિવાજી મહારાજે ઔરંઝેબની સેવામાં રહીને મુઘલ સેનાને પક્ષે રહી લડવાનું પસંદ કર્યું  હોવાની વાત આજે ભાગ્યેજ કોઇને ગળે ઉતરે.પણ શિવશાહી ચા શોધ(પરિચુરે પ્રકાશન:1997)માં વસંત કાનેટકર નોંધે છે: યુધ્ધશાસ્ત્રમાં શિવાજી રાજ્યે કયારેક સાધન શુધ્ધિનો આગ્રહ સેવ્યો નથી..કરાર કરીને તોડયા , વચન ભંગ કર્યો,જરૂર લાગી ત્યારે પીછેહઠ  કે શરણાગતિ સ્વીકારી,અને તક મળી ત્યારે આક્રમણ કર્યા.(પૂષ્ઠ 93)ઔરંગઝેબના વિશ્વાસુ સાથી મિર્ઝા રાજા જયસિંહને 1665માં પત્ર લખી શિવાજી મહારજ બાદશાહ વિરુધ્ધ ઉશ્કેરીનેહિંદુ_એકતા સાધવા પ્રયત્ન કરે છે પણ એમાં સફળતા ન મળતાં આગ્રા દરબારમાં જવા સંમત થાયછે. આગ્રા દરબારમાં શિવાજીનું અપમાન થયા પછી ફળોનાં કરંદિયામાં સંતાઈને શિવાજી અને એમના પુત્ર સંભાજી છટકવામાં સફળ થયાની હાસ્યાસ્પદ બાબતો આજે પણ ઇતિહાસનાં વિદ્યાર્થીઓને ભણાવાય છે.કાનેટકરે નોંધ્યું છે:આજે પણ હૈદ્રાબાદનાં સાલાર જંગ મ્યુઝિયમમાં મીઠાઈના એ હાર્મોનિયમ જેવા કરંડિયા મૌજુદ છે.શિવાજી જેવા દોઢસો પાઉંડનાં વજનના સાડાપાંચ ફૂટ ઉંચા માણસ એ કરંડિયમાં કઈ રીતે આવી શકે? એ કોઇ ગોડ્રેજ કબાટ નહોતો.બાદશાહની કેદમાંથી શિવાજી ચોકિયાતોને લાંચ આપીને  છૂટવાની શક્યતા વ્યકત કરાઇ છે.
   મુઘલ સેવામાં શિવાજી:                        
 આગ્રાકાંડ પછી શિવાજી અને ઔરંગઝેબ વચ્ચે સુમેળ સધાય છે.શિવાજી 1665નાંપત્રમાંઔરંગઝેબને લખે છે ,:હું ગુનેગાર છુંતમારે શરણે આવું છું. અને પ્રમાણિકતાપૂર્વક તમારી નોકરી કરવા સદાય તત્પર રહીશ.મુઘલ સૈન્ય સાથે મિર્ઝા રાજા જયસિંહના સહયોગી તરીકે શિવાજી પણ બીજાપૂરની ચડાઈમાં ભાગ લે છે.સમયાંતરે મુઘલ વિરોધી અટકચાળા બદલ ક્ષમાયાચના કરી લેવામાંય શિવાજીને સંકોચ થતો નથી.પોતાનું સમગ્ર જીવન ઔરંઝેબની સેવામાં અર્પણ કરવા અંગેનો પત્ર  22 એપ્રીલ 1667નાં રોજ એ લખે છે. 9માર્ચ 1667નાં રોજ એ લખેછે ,9માર્ચ 1668નાં રોજ ઔરંગઝેબને પત્ર લખીને શિવાજીને રાજાનો ખિતાબ આપ્યાનું યાદ દેવડાવે છે.મુઘલ બાદશાહ તરફથી શિવાજીને રાજા નો ખિતાબ મળ્યા પછી છેક 1674માં ગાગાભટ્ટને તેડાવીને છ્ત્રપતિ શિવાજી મહારાજ પોતાનો રાજ્યભિષેક યોજે છે. 1680માં શિવાજીની  આઠ પત્નીઓમાંથી એક સોયરાબાઈ થકી ઝેર અપાતાં છત્રપતિનું મૃત્યુ થયાની નોંધ અનેક ઠેકાણે મળેછે.શ્રી શિવાજી છત્રપતિ (મરાઠા મંદિર પ્રકાશન 1964)ના લેખક ત્ર્યબંક શંકર શેજવલકર,શિવાજીના અપમૃત્યુ વિષેનાં અલગ અલગ દસ્તાવેજોની છણાવટ કરેછે.શિવાજીના મૃત્યુ પછી  27 વર્ષે ઔરંગઝેબના મૃત્યુ સાથેજ મુઘલનો અંત આવ્યો,અને મરાઠાઓનું મહાભારત પૂરું થયું.’    
 તટસ્થ મૂલ્યાંકન જરૂરી: 
 ઇતિહાસને માત્ર હિંદુ મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મના ચશમાં ચડાવી જોવાથી  તો અનર્થ સર્જાય.શાસક એન સ્પર્ધક રાજાઓ કે બાદશાહોનાં તેમનાં પગલાનાં તટસ્થ અભ્યાસ થકી મૂલ્યાંકન થવા જોઇએ.ઉપલબ્ધ સંદર્ભો અને દસ્તાવેજી સામગ્રીને આધારે ઐતાહિસિક ઘટના ક્રમની છણાવટ કરવામાં સરળ સામાન્યીકરણ કરવું જોખમી લેખાય.ઔરંગઝેબ વિષે પૂર્વગ્રહ યુકત સામગ્રી થકી  ઉપસતી છબિ આ મુઘલ બાદશાહના વ્ય્ક્તિત્વને નિશ્ચિત પણે અન્યાય કરનારી છે.ઈતિહસના આયનામાં ત્રણાસો વરસ પછી ઔરંગઝેબ અને શિવાજીજ નહીં ,એમના સમકાલીનોને પણ તુલનાત્મક અભ્યાસ કરતી વખતે સવિશેષ કાળજી લેવાય કે વર્તમાન સંજોગોનાં ઘટનાક્રમનો ઓછાયો એના પર પડે નહીં.સંપૂર્ણ પણે તટસ્થતા કેળવીને ઔરંગઝેબ અને શિવાજીનાં ગુણ દોષ તારવવામાં આવે.આવું થાય તો ભારત વારંવાર પરાધીનતાની બેડીઓમાં શાને જકડાતું રહ્યું એ વાતને ખાળવાનો માર્ગ જરૂર મળી આવશે.ગ્લોબ્લઈઝેશનના યુગમાંય ઇતિહસ_વિશ્લેષણો લાલબત્તી ધરી શકે.                                                       _હરિ દેસાઈ   
 (શ્રી આઈ.પટેલ સા. એ આ કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ ને મોકલવા બદલ બઝમે વફા આભારની લાગણીવ્યકત કરે છે.1લો ભાગ પણ મોકલ્યો હોત તો સારું રહેત.બની શકેનો આ લેખમાળાના બન્ને ભાગોની સ્કેન કોપી મોકલવા વિનંતી છે.કોઇ પણ મિત્ર મોકલી શકે છે.બઝ્મે વફા).
ડોકિયું:
ઔરંગઝેબ આલમગીરની પુત્રી મેહરુન્નીસા ફારસી ભાષાની ઘણી સારી કવિયત્રી હતી.એક ફારસી કવિએ ઈરાનથી એક ફારસી ભાષામાં કવિતામાં ઉખાણું મોકલ્યું. અનુ. એવું મોતી કોઇએ જોયું છે જે અર્ધુ કાળું અને અર્ધુ સફેદ હોય મહેરુન્નિસાએ ફારસી શાયરીમાંજ ઉત્તર દીધો.અનુ.હા તે અશ્રુ જે કોઇ હસીનાના(સુંદર સ્ત્રી) કાજળ લગાવેલ નયનો માં થી ટપકે છે.જે અર્ધું કાળું હોય છે અર્ધું સફેદ હોય છે.ઈરાની ફારસી કવિ આ જવાબ વાંચી પ્રસન્ન થઈ ગયો.એણે પરવાનગી માંગી કે મારે આ કવિને મળવું છે. ઔરંગઝેબના મહેલમાં સ્ત્રીઓમાં ચુસ્ત પણે હિજાબ(પરદા)નું પાલન થતું હતું.મહેરુન્નેસાએ જવાબ મોકલ્યો કે જે ફારસી શાયરીમાંજ હતો અનુ. હું તે ફૂલની ખૂશ્બુ છું જેને તમે સુંઘી શકો પણ નિહાળી શકતા નથી,.ઈરાની ફારસી શાયર સમજી ગયો કે આ કોઇ પર્દો ધરાવતી સ્ત્રી છે. મળવાનો ઈરાદો ત્યાગી દીધો._વફા.

 મોગલ શાસનકાળ દરમિયાન સત્તાસંઘર્ષ સામાન્ય ઘટના છે. શ્રેષ્ઠ કે બળવાન પુત્ર પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરી સત્તા પર આવ્યાનાં દૃષ્ટાંતો ઘણાં છે. દારા શિકોહ પણ એક એવું નામ છે. સત્તાસંઘર્ષમાં માર્યા ગયેલા મોગલ શહેજાદાથી વિશેષ ઓળખ દારા શિકોહની ઇતિહાસમાં વિકસી નથી. પણ દારા શિકોહના વ્યકિતત્વ સાથે સંકળાયેલ આઘ્યાત્મિક વિદ્વતાને પામવાનો કે ઉજાગર કરવાનો પ્રયાસ થયો નથી.

એ સત્ય છે કે ઔરંગઝેબે તેના ભાઈ દારા શિકોહ (૧૬૧૫ થી ૧૬૫૯)ની હત્યા કરી સત્તા હાંસલ કરી હતી. સત્તાના આ સંઘર્ષમાં દારા શિકોહ જેવા અત્યંત સૂફીજ્ઞાનીને ઇસ્લામના ફતવાનો ભોગ બની ફાંસીના માચડે લટકી જવું પડયું હતું. એ ઘટના મોગલ ઇતિહાસનું કરુણ છતાં અજાણ્યું પ્રકરણ છે.

ઔરગંઝેબની કટ્ટરતા ઇસ્લામને સમજી શકી ન હતી. એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાને શરીફ લઈ ઇસ્લામનો પ્રચાર કરવા નીકળેલ બાદશાહ ઔરંગઝેબ એ વાત ભૂલી ગયો હતો કે કુરાને શરીફમાં ‘લાઈકરા ફિદ્દિન’ અર્થાત્ ‘ધર્મની બાબતમાં કયારેય બળજબરી ન કરો’નો આદેશ વારંવાર આપવામાં આવ્યો છે. ઇસ્લામની આવી માનવતાને ન સમજી શકનાર ઔરંગઝેબ તેના ભાઈ દારા શિકોહની વિદ્વતા અને વિચારોની ગહનતાને પણ પામી શકયો ન હતો.

દારા શિકોહને તેના પિતા શાહજહાંએ ઇ.સ. ૧૬૩૩માં પોતાનો અનુગામી જાહેર કર્યોહતો. સ્વભાવે શાંત અને રાજકારણમાં શૂન્ય એવો દારા શિકોહ અત્યંત આઘ્યાત્મિક મુસ્લિમ હતો. મૌલવીઓની કટ્ટર ઇસ્લામની વિભાવનાનો સખત વિરોધી હતો.

ઇસ્લામના માનવીય અભિગમનો તે પ્રખર પુરસ્કર્તા હતો, અને એટલે જ દારા શિકોહએ ઇસ્લામ અને હિંદુ ધર્મનો ડો અભ્યાસ કર્યોહતો. તે વેદોથી અત્યંત પ્રભાવિત હતો. હિંદના યોગીઓ અને હિંદુ સંન્યાસીઓ સાથે તેનો નિકટનો નાતો હતો. તેમની સાથે કલાકો સુધી તે ચર્ચા કરતો. પરિણામે તેના વિચાર અને આચારમાં સમન્વય અને સર્વધર્મ સમભાવ અદ્ભુત રીતે વ્યકત થતા હતા.

સૂફીવાદનો દારા શિકોહ ચાહક હતો. અલબત્ત રાજકીય દૂરંદેશી અને સૈનિક કૂટનીતિ તેના વ્યકિતત્વમાં રજમાત્ર ન હતી. પરિણામે ઇ.સ. ૧૬૫૮માં સુમરગઢમાં ઔરંગઝેબે તેને પરાજય આપ્યો અને શાહજહાંના અનુગામીની ભારતના સમ્રાટ થવાની આશા પર પાણી ફરી વળ્યું. પણ શારજહાંના શાસનકાળ દરમિયાન દારા શિકોહ અનેક રાજયોના સૂબા તરીકે કાર્ય કરી પોતાની સર્વધર્મ સમભાવની નીતિને સાકાર કરી હતી.

શાહજહાંએ દારા શિકોહને અમદાવાદના સૂબા તરીકે ઇ. સ. ૧૬૪૮માં નિયુકત કર્યોહતો. એ પૂર્વે ઔરંગઝેબે એક જૈનમંદિરને મસ્જિદ બનાવવાનું ફરમાન આપ્યું હતું. પણ સૂબા તરીકે નિયુકત થયાના ચોવીસ કલાકમાં જ દારા શિકોહે ઔરંગઝેબના એ ફરમાનને રદ કરી ‘શાહ-ઇ-બુલંદ ઇકબાલ મહંમદ દારા શિકોહ’ની મહોરવાળું નવું ફરમાન બહાર પાડી જૈનમંદિરને યથાવત્ રાખવા અને તેમાં ઘૂસી ગયેલા ફકીરો અને ભિખારીઓને તરત ત્યાંથી દૂર કર્યા હતા.

આ ફરમાનનો અમલ થતા શેઠ શાંતિદાસ ઝવેરીએ દારા શિકોહના આવા સમભાવપ્રેરક પ્રથમ પગલાની પ્રશંસા કરી હતી. જયારે ઔરંગઝેબે દારા શિકોહના આવા પગલાની કટ્ટર મૌલવીઓ દ્વારા ટીકાઓ કરાવી હતી.

આમ ઔરંગઝેબે ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં દારા શિકોહને માત કરવા ફુટનીતિ આદરી હતી. પરિણામે ધીમે ધીમે કટ્ટર મૌલવીઓ દારા શિકોહને ઇસ્લામનો શત્રુ માનવા લાગ્યા. દારા શિકોહને આવા વિરોધોની કાંઈ ખાસ પડી ન હતી. તે તો તેના આઘ્યાત્મિક મનનમાં લીન રહેતો. તેના આઘ્યાત્મિક ચિંતનની સાક્ષી પૂરતા કેટલાક ગ્રંથોમાં સફીનતુલ અવલિયા (૧૬૪૦), સકીનતુલ અવલિયા (૧૬૪૨), રિસાલ-એ- હકનુમા (૧૬૪૬), હસ્નાતુલ આરેફિન (૧૬૫૨), મુકાલિમ-એ-બાબાલાલ વ દારા શુકુહ જેવા સૂફીગ્રંથોનો સમાવેશ થાય છે.

સૂફીગ્રંથો ઉપરાંત દારા શિકોહએ વેદાંત અને તસવ્વુફનો પણ ડો અભ્યાસ કર્યો હતો. એ અભ્યાસના પરિપાક રૂપે વેદાંત અને તસવ્વુફનો તુલનાત્મક અભ્યાસ રજૂ કરતો ગ્રંથ ‘મજમઅુલ બહેરીન’ (૧૬૬૫) તેમણે તૈયાર કર્યોહતો. આ ઉપરાંત ઉપનિષદોનો અભ્યાસ પણ દારા શિકોહના અત્યંત રસનો વિષય હતો. તેણે ‘સિર્રે અકબર’ (૧૬૫૭) નામક ગ્રંથમાં ૫૦ ઉપનિષદોનો ફારસીમાં અનુવાદ કર્યોહતો. તેના માર્ગદર્શન તળે જ ‘યોગેવાસિષ્ટ ગીતા’ અને ‘પ્રબોધ ચંદ્રવિધા’ જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો હતો.

ઔરંગઝેબ દારા શિકોહની આવી ઉદાર ધાર્મિક પ્રવૃત્તિઓને ન સાંખી શકયો અને કટ્ટર મૌલવીઓ દ્વાર દારા શિકોહ માટે ફાંસીનો ફતવો જાહેર કરાવ્યો. જાહેરમાં દારા શિકોહને ફાંસીને માચડે ચડાવી દેવામાં આવ્યો. દિલ્હીના હુમાયુના મકબરા પાસે દારા શિકોહને દફનાવવામાં આવ્યો છે.

 આલમગીર ઔરંગઝેબ

ડો. મહેબૂબ દેસાઈ

‘આલમગીર’ અર્થાત્ વિશ્વને પ્રકાશિત કરનાર બાદશાહ તરીકે જાણીતા છેલ્લા માગલ સમ્રાટ ઔરંગઝેબ (ઇ.સ. ૧૬૫૮થી...)નું નામ અરબીમાં અવરંગજિબ લખાય છે. જેનો અર્થ થાય છે શાહીપદવી. ૩ નવેમ્બર ૧૬૧૮માં ધોડા (માલવા)માં જન્મેલ ઔરંગઝેબનું જીવન બે વિભાગોમાં વિભાજિત છે. પ્રથમ લોહિયાળ સત્તાસંઘર્ષમાં વ્યસ્ત શાહજાદો ઔરંગઝેબ. બીજું સત્તા મેળવ્યા પછી એક ચુસ્ત (કટ્ટર) મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબ. આ બે વ્યકિતત્વો વરચે આલમગીરની સત્યનિષ્ઠા અને ઉદાર ધાર્મિક નીતિ ઇતિહાસનાં પાનાઓ નીચે દબાઈ ગઈ છે.

અત્યંત ધર્મપરાયણ અને મૂલ્યનિષ્ઠ ઔરંગઝેબ પાંચ વકતનો પાબંદ નમાઝી હતો. ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે જ શાસન કરવાનો તેનો આગ્રહ જાણીતો છે. તેની મૂલ્યનિષ્ઠા ભલભલા આલીમોને શરમાવે તેવી હતી. તેના કાર્યાલયમાં બે દીવાઓ તેનું ઉત્તમ દૃષ્ટાંત હતા. હંમેશ મુજબ એક રાત્રે તે પોતાના કાર્યાલયમાં દીવાના પ્રકાશમાં રાજયનું કાર્ય કરી રહ્યો હતો. થોડા સમય પછી તેણે એ દીવો બુઝાવી બીજૉ દીવો પેટાવ્યો. અને પોતાના લેખનકાર્યમાં લાગી ગયો. એક સિપાઈ બાદશાહની આ ક્રિયા જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી. અંતે હિંમત કરી તેણે બાદશાહને બે દીવાઓનું રહસ્ય પૂછ્યુ. ત્યારે આલમગીરે કહ્યું,

‘પ્રથમ દીવો રાજયનો છે. તેનો ઉપયોગ રાજયના કામકાજ માટે કરું છું. બીજો દીવો મારો અંગત છે. તેનો ઉપયોગ મારી આજીવિકા માટે કુરાને શરીફની નકલો કરવામાં કરું છું.’

મોગલ શાસન દરમિયાન ભારતના ચલણી સિક્કાઓ પર ઇસ્લામનો પ્રથમ કલમો ‘લાઈલાહા ઇલ્લ્લાહ મુહમુદ્ર રસુલિલ્લાહ અર્થાત્ અલ્લાહ એક છે અને મહંમદ તેના પયગમ્બર છે’ કોતરવામાં આવતો. ઔરંગઝેબે બાદશાહ બન્યા પછી એ પ્રથા બંધ કરી. ભારત હિંદુ-મુસ્લિમ પ્રજાનો દેશ છે એટલે તેના સિક્કા પર કોઈ એક ધર્મનો આદેશ યોગ્ય નથી. એવા ફરમાન સાથે તેણે સિક્કાઓ પર સામાન્ય સંદેશ કે ચિહ્નો મૂકવાનો આરંભ કર્યોહતો.

રાજયાભિષેકના સત્યાવીસમા વર્ષે જૈન સાધુ ચંદ્રસૂરીના નામે એક ફરમાન બહાર પાડયું હતું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું : ‘જૈન પંથના કોઈ પણ વ્યકિતને કોઈ પણ જાતની સતામણી થવી જોઈએ નહીં. તેઓ શાંતિ અને સુરક્ષાથી પોતાના વિસ્તારો અને નિવાસોમાં રહે તેની તકેદારી રાખવી. હવે પછી દરબારમાં આ અંગેની કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં. આ હુકમની બજવણી દરેકે નૈતિક ફરજ સમજીને કરવાની છે.’

ઇ.સ. ૧૬૫૯થી ૧૬૮૫ દરમિયાન ઔરંગઝેબે અનેક મંદિરોને નિભાવ ખર્ચ તરીકે જમીનો અને જાગીરો આપ્યાના દસ્તાવેજો સાંપડે છે. જો કે ઔરંગઝેબની આ તમામ સારપ તેની ચુસ્ત (કટ્ટર) ઇસ્લામિક શાસન પદ્ધતિને કારણે ઉજાગર થઈ નથી. ટૂંકમાં, ઔરંગઝેબની ઉદારતા તેના સત્તાસંઘર્ષ માટેના હિંસક પ્રયાસો અને કટ્ટર ઇસ્લામી બાદશાહ તરીકેના અમલ નીચે દબાઈ ગઈ છે. અને તેના વિવાદાસ્પદ વ્યકિતત્વને કારણે દબાયેલી રહેશે.

સાચી કેળવણી :


જે સ્વ-ની ઓળખ કરાવે.
સંકટમાંથી માર્ગ શોધી આપે.
દુ:ખમાં જીવતાં શીખવે.
બીજાને સુખ આપે.
વિનયી બનાવે.
પોતાનામાં રહેલા ક્રોધ અને અહંકારને દૂર કરે
આત્મબળ વધારે.
જીવનને પ્રકાશીત કરે.
સ્થિરતા પ્રદાન કરે.
અન્યાય સામે આવાજ ઉઠાવે.
પોતાનામાં આત્મવિશ્વાસ જગાવે.
કોઈ પણ કાર્યને પૂર્ણતા તરફ દોરે.
દેશ અને સમાજમાં માન-સન્માન અપાવે.
અને જીવનના અંત પછી પણ તેની કિર્તી ચારે બાજું ફેલાવે.

આપણા જીવનમાં સ્ત્રીનું મહત્વ


જયારે હું જન્મ્યો, મારી સંભાળ લેનાર કોઈ સ્ત્રી હતી. – “માં”

જેમ હું મોટો થયો, મારી સાથે રમનાર, હસનાર, ધીંગા-મસ્તી કરનાર, નાની નાની વાતોની કાળજી કરનાર, કોઈ સ્ત્રી હતી. – “બહેન”

જયારે હું શાળાએ ગયો, બાલ મંદિરમાં મારો હાથ પકડીને એકડો ઘુંટાવનાર કોઈ સ્ત્રી હતી. – “શિક્ષક”

જયારે જીવનમાં એકલાપણું સાલવા લાગ્યું, મારે પણ કોઈ જીવનસાથી હોય તો??

જે મને પ્રેમ કરે અને મારા જીવનમાં ખુશીના રંગો પૂરે એવું લાગવા લાગ્યું ત્યારે પણ તે રંગ પૂરનાર કોઈ સ્ત્રી હતી. – “પત્ની”

જયારે ધંધા, નોકરીનાં ટેન્શનથી ગુસ્સે થઇ જતો ત્યારે મને શાંત કરી દિલાસો આપનાર કોઈ સ્ત્રી હતી. – “પુત્રી”

જયારે મારું મૃત્યુ થશે, ત્યારે પણ મને તેના ઉદરમાં સમાવનાર કોઈ સ્ત્રી હશે. – “માં ભોમ, માતૃભૂમિ”

દુનિયાનો સૌથી ખરાબ વ્યક્તિ પણ જો આટલું વિચારશે,

તો તેના દિલમાં પણ સાતમે પડદે એક વાર તો “સ્ત્રી” તરફ આદરભાવ નિર્માણ થશે જ.

જો તમે પુરુષ હો તો દરેક સ્ત્રીને આદર અને સન્માન આપજો.

જો તમે સ્ત્રી હો તો તમે તમારી જાતનુ ગૌરવ કરજો.

શુક્રવાર, 21 ડિસેમ્બર, 2012

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
              






                            પૂરું નામ નરેન્દ્ર દામોદરદાસ મોદી. તેનો જન્મ ૧૭ સપ્ટેમ્બર ૧૯પ૦માં એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પરિવારને મદદ કરવા માટે તેલના ખાલી ટીન મીલમાં જમા કરાવતા અને તેને દરેક ટીન પર પાંચ પૈસા મળતા.

                  નરેન્દ્રભાઈના બાળપણના મિત્રો અને પડોશીઓના કહેવા મુજબ નરેન્દ્રભાઈ નાનપણથી બહુ બહાદુર અને પ્રેમાળ હતા. શિસ્તના આગ્રહી તો હતા જ, પરંતું સાથે સાથે ટીખળી અને મસ્તીખોર પણ હતા.

                  તેમના બાળપણના અનુભવો તાજા કરવા દિવ્યભાસ્કર દ્વારા તેમાના મિત્રો અને પડોશીઓની ખાસ મુલાકાત કરવામાં આવી. જેમાં તેમના બાળપણની કેટલીક ખાટીમીઠી વાતો અને રસપ્રદ અનુભવો જોવા મળ્યા છે.

જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
             આ તસવીર નરેન્દ્રભાઈની પહેલી તસવીર છે. નરેન્દ્રભાઈ આઠ વર્ષના હતા ત્યારે તેમના મોટાભાઈ સોમાભાઈ પાટણમાં પાણી પુરવઠા વિભાગમાં કામ કરતા હતા. તે સમયે નરેન્દ્રભાઈ પણ એકવાર તેમની સાથે પાટણ ગયા હતા. ત્યાં ફોટો સ્ટુડિયો જોતાં નરેન્દ્રભાઈને પણ તેમની તસવીર પડાવવાનુ મન થઈ ગયું અને તેમણે સોમાભાઈને કહ્યું. ત્યારે મોટાભાઈને નરેન્દ્રભાઈની આ તસવીર પડાવી હતી.


મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
જ્યારે તેઓ એક મગરનું બચ્ચું લઈને આવ્યા :

ભરતભાઇ મોદી:

             - નરેન્દ્રભાઈ બાળપણથી જ સાહસિક બહુ હતા. તેઓ દરરોજ ૪૦ એકરના વિશાળ શર્મિષ્ઠા તળાવના કૃષ્ણા આરાથી નાહવા પડતા. આ તળાવની ઊંડાઈ પણ બહું છે, તેમાં ડુબવા વાળા આજ સુધી ભાગ્યે જ બચીને પાછા આવે છે. તેથી આજે પણ લોકો તેમાં નાહવા જતાં ડરે છે. તે સમયે તો તળાવમાં મગર પણ બહુ હતા, તોપણ મગર વચ્ચે તેઓ ડર્યા વગર જતા અને તરતા પણ. તેમાં એક વાર તો મગરનું બચ્ચુ ઘરે પણ લઈ આવ્યા હતા, જેને જોઇને બધાના હોશ ઉડી ગયા હતા.
            
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                મોદીના મિત્ર ભરતભાઈ જણાવે છે કે બાળપણમાં મોદી તળાવમાંથી એક મગરનું બચ્ચું લઈને આવ્યા. જે જોઇને તેના માતાએ તેમને કહ્યું કે તને કોઇ ઉપાડીને લઇ જાય તો તને કેવું થાય ત્યારબાદ મોદી તરત જ તળાવમાં એ બચ્ચું છોડીને આવ્યા હતા.
               વધુમાં ઉમેરતાં ભરતભાઈએ કહ્યું, "વિશાળ શર્મિષ્ઠા તળાવમાં બરાબર મધમાં એક સતરડી જ એવી જગ્યા છે જ્યાંથી વડનગરની લાઈબ્રેરીના ટાવરની ઘડીયાળ દેખાય અને નરેન્દ્રભાઈ તે ઘડીયાળ દેખાય પછી જ પાછા વળતા. આટલું તરતાં લગભગ ૧ કલાક લાગે છે."

જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                ત્યારબાદ તેમના પિતાને જ્યારે રેલ્વે સ્ટેશન પર ચાની કીટલી હતી ત્યારે નરેન્દ્ર મોદી ચા વેચવા પણ જતા હતા.
               નરેન્દ્રભાઈ વિશે પોતાની જૂની યાદો તાજી કરતાં લક્ષ્મીબેન પટેલે કહ્યું, "રેલ્વેસ્ટેશન પર ટ્રેન આવે ત્યારે નરેન્દ્રભાઈને ઠિંગડાવાળી ચડ્ડીમાં પાંચ-પાંચ પૈસામાં પાણીના ગ્લાસ વેંચતા તો મેં પણ જોયા છે."
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
હરગોવનભાઈ પટેલ કહે છે કે, તેમનો બીજો એક અનુભવ જણાવતાં હરગોવનભાઈએ કહ્યું, "મારુ ગામ સબલપુર વડનગરથી થોડુ દૂર હતું. તે સમયે સબલપુરમાં છાસ મફત મળતી એટલે મોદી ઠેક સબલપુર ચાલીને છાસ લેવા આવતા. તેમાં તો મોદીના ચપ્પલ પણ ઘસાઈ ગયા હતા, તેવું નરેન્દ્રભાઈ કહેતા."

જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                       તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું, "તે સમયે વડનગમાં મહાલક્ષ્મી ઓઇલ કંપની હતી અને મોદી તે સમયે ત્યાં પાંચ પૈસામાં તેલના ડબા ઉપાડતા." અત્યારે તો તે થોડા સમયથી બંધ થઈ ગઈ છે.
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
               તેમની શાખાટોળીના જ બીજા એક મિત્ર દશરથભાઈ જણાવે છે કે, "એસએસસી બાદ કૉલેજમાં હું અને નરેન્દ્રભાઈ થોડો સમય સાથે જતા, પછી તો તે અમદાવાદ જતા રહ્યા હતા. તે સમય દરમિયાન અમે વડનગરથી વિસનગર એમ.એન. કૉલેજમાં ચાલતા જતા અને તે સમયે અમે નરેન્દ્રભાઈ સાથે રસ્તામાં જાંબુના જાડ પર ચડી ઘણા જાંબુ પાડતા અને મસ્તી પણ કરતા."
હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો 
                                     આ એજ જગ્યા છે જ્યાં એ લોકો નાટકની પ્રેક્ટિસ કરતા હતા:

વધુમાં ઉમેરતાં દશરથભાઈએ કહ્યું, "તે સમયે અમે બધાએ 'પગરખાનો પાળીયો' નાટક કૉલેજમાં ભજવ્યું હતું. તેમાં નરેન્દ્રભાઈ પિતાના પાત્રમાં હતા. તે નાટકની પ્રેક્ટિસ મારા ઘરના આ ઓરડામાં જ થતી. તે સમયે મહેન્દ્ર દરજી નરેન્દ્રભાઈને બહુ ચિડવતા."
હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો
 નરેન્દ્રભાઈએ શાળાસમયમાં 'જોગીદાસ ખુમાણ' નામના નાટકમાં 'વજેસિંહ ઠાકોર'નો રોલ ભજવ્યો હતો.

નરેન્દ્રભાઈના લંગોટીયા મિત્ર શામળદાસ મોદી:
 નરેન્દ્રભાઈના બાળપણના ખૂબ જ અંગત મિત્ર શામળદાસ માધવલાલ મોદીએ કહ્યું, "નરેન્દ્રભાઈ મને હંમેશાં કહેતા કે, એક દિવસ હું કૃષ્ણ બની અને તું સુદામા બનીશ. તે સમયે નરેન્દ્રભાઈને શોધવા હોય તો, બે જ જગ્યા નક્કી હતી, એક શર્મિષ્ઠા તળાવ અને બીજુ અમારા ગામનું ભોગીલાલ ચંદુભાઈ વિદ્યાવર્થક પુસ્તકાલય."
                         ૧૯૬૮-૬૯માં તેમણે અખીલ ભારતિય વિદ્યાર્થી પરિષદનો એક કાર્યક્રમ યોજ્યો હતો. એ કાર્યક્રમ વડનગરની વિષાનગરની વાડીમાં યોજ્યો હતો. તેમાં નરેન્દ્રભાઈએ નેતાગીરી સંભાળી હતી. સંઘઠનાત્મક ગુણ તો તેમનામાં બાળપણથી જ હતો.
મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
              
                     1969માં નરેન્દ્ર મોદીના મોટાભાઈ તેમને અમદાવાદ ભણવા લઈ ગયાં હતાં.
ત્યાં તેમના ભાઈની ચાની કીટલી હતી અને ત્યાં નરેન્દ્ર મોદી ચા બનાવતા અને વેંચતા પણ હતા.
ત્યાં તેમના ભાઈ સાવ નાની ખોલીમાં રહેતા હોવાથી રાત્રે સૂવાની પણ જગ્યા નહોતી.
તેથી તેઓ સંઘના કાર્યાલયમાં સૂવા જતાં અને ત્યાં જ તેમની મુલાકાત લક્ષ્મણરાવ ઇનામદાસ
(વકીલ સાહેબ) સાથે થઈ હતી. વકીલ સાહેબની રોજીંદી મુલાકાતથી જ તેઓ સંઘના વધું
પ્રભાવમાં આવ્યા અને સંઘમાં પ્રવેશ્યા. વકીલસાહેબ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક હતાં. 
જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
સાધુ થવા માટે સંસાર પણ છોડી દીધો હતો :

              મોદી એક સમયે સાધુ બનવા માંગતા હતા. બે વર્ષ તેઓ હિ‌માલયની ગોદમાં રહ્યા. તેઓ રામકૃષ્ણ આશ્રમમાં પણ રહ્યા. અચાનક એક દિવસ તેઓ આ વિચાર છોડીને ઘરે પરત ફર્યા. અમદાવાદમાં મોદીને ઘર ચલાવવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઓફિસની બહાર ચાની લારી ખોલવી પડી હતી. અહીંથી જ શાખામાંથી પરત ફરતા સંઘના કાર્યકર્તાઓ સાથેની મુલાકાતે તેના વિચારો બદલ્યા. તે દુકાન બંધ કરી અને શાખામાં જોડાઈ ગયા.



જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
                      
                            
૧૯૯પમાં ભાજપે મોદીને રાષ્ટ્રીય મહાસચિવ બનાવી દીધા અને
તેને પાંચ રાજ્યોની જવાબદારી સોંપી.
૨૦૦૧માં કેશુભાઇની સત્તા બાદ ભાજપે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા.

હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો
1998માં વડનગરમાં શિશુમંદિરના ખાતમુહુર્તમાં નરેન્દ્રભાઈએ પહેલી વાર જાહેરમાં વડનગરમાં 
પગ મૂક્યો હતો. આ તસવીર તે સમયની છે.




જાણો, બાળપણથી જ બહાદુર પ્રતિમા છતી કરતા મોદી વિશે
ડૉ. વસંતભાઈ પરીખે તે સમયે 'ધરોઇ લાવો, ઉત્તર ગુજરાત બચાવો' અભિયાન ચલાવ્યું હતું. 
તેઓ તે સમયે ધારાસભ્ય હતા. તે સમયના યુવા કાર્યકરોમાં નરેન્દ્રભાઈ પણ હતા. 
તેમણે યુવાટીમની આગેવાની લીધી હતી.

-  વસંતભાઈ પ્રખર સમાજસેવક હતા. નરેન્દ્રભાઈએ સૌપ્રથમવાર અમદાવાદ, વડોદરા વટાવ્યું તો,
તે પણ વસંતભાઈ સાથે જ.

હેટ્રીક મારનાર મોદીની ભાગ્યેજ જોવા મળતી રસપ્રદ તસવીરો

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
ટેકનોસેવિક મોદી :

ગુગલ + હેંગઆઉટ પર આવનારા પ્રથમ રાજકીય નેતા

૪૦ લાખ દર્શકો હેંગઆઉટ સેશન વખતે ઓનલાઇન અને ટીવી પર

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
ફેશન:

મોદી આગવી સ્ટાઇલથી કુર્તા- પાયજામા ઉપરાંત વેસ્ટર્ન આઉટફીટ પણ પહેરે છે, ટ્રિમ દાઢી રાખે છે

૩ડી અવતાર ટેક્નિકથી પ્રચારમાં સૌથી આગળ નેતા

૧૦૦થી વધુ સભાઓ આ ૩ડીના માધ્યમ દ્વારા સંબોધી

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
... પણ વિવાદો ચાલતા રહેશે :

ગોધરાના તોફાનો મામલે મોદી સરકારના મંત્રીઓ પર કાર્યવાહી ચાલુ છે જ્યારે મોદીને હજુ પણ અમેરિકાના વિઝાનો ઈંતજાર છે.

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
પરિણીત કે અપરિણીત :

આ સવાલ ઉઠતો રહ્યો છે અને ચર્ચાતો રહેશે.

મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર
આપણે પાછળ જોવાની જરૂર નથી, આગળ જોવાની જરૂરીયાત છે,આપણે અંનત ઉર્જા‍ની જરૂર છે તેમજ અંનત સાહસ અને ધૈર્યની જરૂર છે. - નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ગુજરાત

















નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયાં છે? શું કરે છે?

          નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયાં છે? શું કરે છે?   
        છ ભાઈ-બહેનોના મધ્યમ વર્ગીય કુટુંબમાં જન્મેલા નરેન્દ્ર મોદી જન્મ્યા ત્યારે ઘરમાં પંખો પણ નહોતો. તે સમયે તેમના પિતાને અનાજ દળવાની ઘંટી હતી, પાછળથી તેમણે રેલ્વે સ્ટેશન પર ચાની લારી ખોલી હતી. ત્યાં નરેન્દ્રભાઈ પણ કીટલી લઈ પેસેન્જર્સને ચા વેચવા જતા.

        મધ્યમ વર્ગીય કુટુંબ હોવા છતાં, ઘરમાં બધાં જ ભાઈ-બહેનો સુશિક્ષિત છે.  મર્યાદિત આવક અને છ બાળકોનાં માતા-પિતા હોવાં છતાં, તેમના પિતાએ બાળકોને ભણાવવામાં પાછી પાની નથી કરી.નરેન્દ્રભાઇ મોદીના પિતા તો અત્યારે હયાત નથી, પરંતુ તેમનાં માતા હજી હયાત છે. તેમનાં માતા હીરા બા જ્યાં સુધી જાતે કામ થયું હતું ત્યાં સુધી વડનગરમાં તેમના જૂના ઘરમાં એકલાં જ રહેતાં હતાં, પરંતુ છેલ્લા થોડા સમયથી તબિયત નરમ-ગરમ રહેવાથી નરેન્દ્રભાઈના સૌથી નાનાભાઈ પંકજભાઈના ઘરે ગાંધીનગરમાં રહે છે.

એસએસસી બાદ ઘર છોડ્યા બાદ, નરેન્દ્રભાઈ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણ્યા.

તેમના સૌથી મોટા ભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદી આરોગ્યખાતામાં નોકરી કરતા હતા. અત્યારે તો તે નિવૃત થઈ ગયા છે અને વડનગરમાં એક વૄદ્ધાશ્રમ ખોલી સમાજ સેવાનું કામ કરે છે. તેની સાથે-સાથે તેઓ જ્ઞાતિ અને સમાજ માટે બીજાં પણ ઘણાં સેવાનાં કામ કરે છે.

નરેન્દ્રભાઈ મોદીના બીજા નંબરના ભાઈ છે, અમૄતભાઈ દામોદરદાસ મોદી. આ ભાઈ અત્યારે લેથ મશીનના ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે. તેઓ અત્યારે અમદાવાદમાં જ વસે છે.

નરેન્દ્રભાઈ મોદીના ત્રીજા નંબરના ભાઈ પ્રહલાદભાઈ મોદી અત્યારે અમદાવાદમાં રેશનિંગ એશોસિયેશનના પ્રમુખ છે.

નરેન્દ્રભાઈના સૌથી નાના ભાઈ પંકજભાઈ દામોદરદાસ મોદી અત્યારે માહિતી ખાતામાં નોકરી કરે છે. તેઓ અત્યારે ગાંધીનગરમાં તેમના સરકારી ક્વાર્ટરમાં જ રહે છે. નરેન્દ્રભાઈનાં માતા પણ તેમની સાથે જ રહે છે. 

પાંચ ભાઈઓ વચ્ચે એક જ બહેન છે. તેમની બહેનનું નામ વસંતીબેન છે. તેઓ અત્યારે વિસનગરમાં રહે છે અને ગૃહિણી જ છે. તેમના પતિનું નામ હસમુખભાઈ મોદી છે અને તેઓ નવૃત એલઆઇસી ઓફિસર છે. 
નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયાં છે? શું કરે છે? 
(આ તસવીર છે, નરેન્દ્રભાઈના પાડોશીના ઘરની. તસવીરમાં નરેન્દ્રભાઈના પાડોશી અને લંગોટીયા મિત્ર શામળદાસ મોદી પણ છે.)

નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયાં છે? શું કરે છે?
(તસવીરમાં આ એજ શાળા છે, જ્યાં નરેન્દ્રભાઈ અને તેમના ભાઇઓએ લીધુ છે, પ્રાથમિક શિક્ષણ.)

 નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયાં છે? શું કરે છે?
 (તસવીરમાં  શ્રી બી.એન. હાઇસ્કૂલમાં લીધુ હતું આ ભાઇ-બહેનોએ માધ્યમિક શિક્ષણ.)
નરેન્દ્ર મોદીના ચાર ભાઇ અને એક બહેન કયાં છે? શું કરે છે?
(તસવીર-આ છે, વડનગરની ઐતિહાસિક લાઇબ્રેરી, ભોગીલાલ ચંદુભાઈ વિદ્યાવર્થક પુસ્તકાલય. નાનપણમાં નરેન્દ્રભાઈનું મનપસંદ સ્થળ પણ આ જ હતું.)
મોદીની એક સામાન્ય ચા વાળાથી ટ્રેન્ડસેટર બનવા સુધીની સફર

ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 પરિણામ પળેપળ ની ખબર



07:36 PM
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 26 ડીસેમ્બરનાં રોજ શપથ લેશે.
06:33 PM
મોદીની સભામાં લોકોએ પીએમ, પીએમ, પીએમ...નાં નારા લગાવતાં મોદીએ કહ્યું, 'તમારી ઇચ્છા હશે તો 27 તારીખે દિલ્હી જઇ આવીશ'
06:29 PM
ચૂંટણી વિજય પછી પ્રથમ સભામાં મોદી
06:16 PM
ચૂંટણીનું અંતિમ પરિણામ - ભાજપ 115, કોંગ્રેસ 61 સીટ, જીપીપી 2, એનસીપી 2, જેડી-યુ 1 અને અપક્ષ 1 સીટ.
05:46 PM
નરેન્દ્ર મોદી અત્યારે અમદાવાદનાં ખાનપુર ખાતે સભાને સંબોધી રહ્યા છે.
05:28 PM
અમદાવાદનાં ખાનપુર ખાતે ભાજપની વિજય સભા શરૂ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જોવાતી રાહ.
04:57 PM
મોરવા હડફનાં કોંગ્રેસનાં જીતેલા ઉમેદવાર સવિતાબેનને છાતીમાં દુઃખાવો ઉપડ્યો. બ્રેઇન હેમરેજ થયું હોવાની શક્યતા.
04:26 PM
મોદી કેશુભાઇનાં ઘેર પહોંચ્યા. બંનેએ એકબીજાનાં મોઢા મીઠાં કરાવ્યા.
03:33 PM
નરેન્દ્ર મોદી કેશુભાઇ પટેલનાં ઘેર મુલાકાતે જાય તેવી શક્યતા.
03:30 PM
નરેન્દ્ર મોદી માતા હીરા બાનાં આશીર્વાદ લેવા પહોંચ્યા.
03:02 PM
જૂનાગઢ બેઠક પર પૂર્વ મેયર મહેન્દ્ર મશરૂએ કોંગ્રેસના ભીખાભાઈ જોશીને પરાજય આપીને ભગવો લહેરાવ્યો છે. જૂનાગઢમાં મહેન્દ્ર મશરૂને 66669 અને ભીખાભાઈ જોશીને 52873 મત મળ્યા છે.
02:59 PM
અંકલેશ્વરમાં કોંગ્રેસના મગનભાઈ પટેલને હરાવીને ભાજપના ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વરમાં કમળ ખીલવ્યું છે. આ બેઠક પર ઈશ્વરસિંહ પટેલને 82645 અને મગનભાઈ પટેલને 51202 મત મળ્યા છે.
02:49 PM
કપરાડા બેઠક પર કોંગ્રેસનો વિજય. કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીની જીત થઈ છે. આ બેઠક પર ભાજપના પ્રકાશભાઈ પટેલે પરાજયનો સામનો કરવો પડ્યો છે. અહીં જીતુભાઈ ચોધરીને 85780, જ્યારે પ્રકાશભાઈ પટેલને 67095 મત મળ્યા છે.
02:49 PM
રાજુલા બેઠક પર ભાજપના હિરાભાઈ સોલંકીએ કોંગ્રેસના બાબુભાઈ રામ સામે વિજય પ્રાપ્ત કર્યો છે. આ બેઠક પર હીરાભાઈ સોલંકીને 75447 અને બાબુભાઈ રામને 56737 મત મળ્યા છે.
02:48 PM
ભાજપની 60 સીટ પર જીત, 56 પર આગળ. કોંગ્રેસની 30 સીટ પર જીત, 30 સીટ આગળ. જેડીયુને ફાળે 1, એનસીપીનાં ફાળે 2 અને જીપીપીને 2 બેઠકો મળી.
02:46 PM
ભાજપની જીત બાદ સાંજે પાંચ વાગ્યે અમદાવાદનાં ખાનપુર ખાતે મોદી સભાને સંબોધશે.
02:45 PM
ડેડિયાપાડામાં ભાજપના મોતિલાલ વસાવાનો વિજય.  મોતિલાલે કોંગ્રેસના અમરસિંહ સહિતના તમામ વસાવાઓને પછાડીને વિજય હાંસલ કર્યો છે. આ બેઠક પર મોતિલાલ વસાવાને 56471, કોંગ્રેસના અમરસિંહ વસાવાને 53916 અને જેડીયુના મહેશભાઈ વસાવાને 20109 મત પ્રાપ્ત થયા છે.
02:38 PM
રાજુલા બેઠક પર પુરુષોત્તમ સોલંકીનાં ભાઇ હીરા સોલંકીનો વિજય.
02:38 PM
સુરત પશ્વિમમાં ભાજપના કિશોર વાંકાવાલાનો વિજય.  તેમણે કોંગ્રેસના ઉષાબેન પટેલ સામે વિજય પ્રાપ્ત કર્યો છે. આ બેઠક પર કિશોર વાંકાવાલાને 99099 અને ઉષાબેન પટેલને 29368 મત મળ્યા છે.
02:37 PM
એલિસબ્રિજ સીટ પરથી લડેલા જીપીપીનાં ઉમેદવાર જાગૃતિ પંડ્યાની ડીપોઝીટ ડૂલ.
02:36 PM
ઉમરેઠમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને પછાડીને એનસીપીના જયંત પટેલ(બોસ્કી)એ બેઠક પર કબજો જમાવ્યો છે. આ બેઠક પર જયંત બોસ્કીને 67363 અને ગોવિંદભાઈ પરમારને 65969 મત પ્રાપ્ત થયા છે.
02:29 PM
ગુજરાત કોંગ્રેસનાં પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસની હાર સ્વીકારીને રાજીનામું આપ્યું.
02:29 PM
કચ્છના માંડવીમાં ભાજપના તારાચંદ છેડાએ કોંગ્રેસના કિશોરસિંહ પરમારને પરાજય આપ્યો છે. આ બેઠક પર તારાચંદ છેડાને 61984 અને કિશોરસિંહ પરમારને 53478 મત મળ્યા છે.
02:28 PM
ભાજપને 47 સીટ પર જીત અને 70 પર આગળ, કોંગ્રેસને 23 પર જીત અને 36 પર આગળ, જીપીપી બે સીટ, જેડીયુને એક સીટ, એનસીપીને બે સીટ
02:27 PM
જામનગર ગ્રામીણમાં ભાજપના પ્રમુખ આર.સી.ફળદુની હાર થઈ છે પણ જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના મંત્રી વસુબેન ત્રિવેદીએ કોંગ્રેસના જીતેન્દ્ર લાલ સામે વિજય પ્રાપ્ત કર્યો છે. વસુબેન ત્રિવેદીને 53352 અને જીતેન્દ્ર લાલને 51577 મત પ્રાપ્ત થયા છે.
02:26 PM
કડીમાં ભાજપી ઉમેદવાર ફિલ્મ અભિનેતા હિતુ કનોડીયાનો કોંગ્રેસના રમેશભાઈ ચાવડા સામે પરાજય થયો છે. આ બેઠક પર કોંગ્રેસના રમેશ ચાવડાને 79697 અને હિતુ કનોડીયાને 78329 મત મળ્યા છે.
02:26 PM
પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર રણછોડભાઈ દેસાઈએ કોંગ્રેસના જોધાજી ઠાકોરને પછાડીને વિજય પ્રાપ્ત કર્યો છે. આ બેઠક પર રણછોડ દેસાઈને 64030 અને જોધાજી ઠાકોરને 58354 મત પ્રાપ્ત થયા છે.
02:26 PM
પાટણ બેઠક પર ભાજપના ઉમેદવાર રણછોડભાઈ દેસાઈએ કોંગ્રેસના જોધાજી ઠાકોરને પછાડીને વિજય પ્રાપ્ત કર્યો છે. આ બેઠક પર રણછોડ દેસાઈને 64030 અને જોધાજી ઠાકોરને 58354 મત પ્રાપ્ત થયા છે.
02:26 PM
મોરબીમાં ભારે રસાકસી બાદ ભાજપના કાંતિ અમૃતિયાએ કોંગ્રેસના બ્રિજેશ મેરજાને પરાજય આપ્યો છે. મોરબીમાં કાંતિ અમૃતિયાને 77386 અને બ્રિજેશ મેરજાને 74626 મત મળ્યા છે.
02:04 PM
આણંદ જિલ્લામાં ચાર સીટ પર કોંગ્રેસ અને બે સીટ પર ભાજપનો વિજય. આંકલાવ, બોરસદ, સોજીત્રા, પેટલાદ બેઠક કોંગ્રેસને ફાળે. જ્યારે આણંદ અને ખંભાત ભાજપને. ઉમરેઠ બેઠક એનસીપીને મળી.
01:37 PM
આર.સી. ફળદુ માત્ર 447 વોટથી હાર્યા.
01:37 PM
ભાજપનાં પ્રદેશ પ્રમુખ ફળદુની હાર.
01:34 PM
કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડીયાને તેમના ગઢ ગણાતા પોરબંદરમાં જ સજ્જડ પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ભાજપના બાબુભાઈ બોખીરીયાનો વિજય થયો છે. અહીં બાબુભાઈ બોખીરીયાને 77604 અને અર્જુન મોઢવાડીયાને 60458 મત મળ્યા છે.
01:28 PM
ખાડિયામાં ભૂષણ ભટ્ટનો વિજય. કોંગ્રેસનાં સમીરખાન સિપાઇ અને અપક્ષ સાબીર કાબલીવાલાએ આપી હતી જોરદાર ટક્કર.
01:12 PM
અસારવામાં પૂર્વ આઇએએસ અધિકારી આર.એમ.પટેલનો વિજય.
01:11 PM
ભાવનગર શહેર-જિલ્લામાં આઠ સીટ પર ભાજપ, એક પર કોંગ્રેસનો વિજય.
01:09 PM
બાલાસિનોરમાં કોંગ્રેસનાં માનસિંહ ચૌહાણ અને વાંકાનેરમાં કોંગ્રેસનાં પીરઝાદાનો વિજય
01:01 PM
ભાવનગર જિલ્લામાં તમામ ક્ષત્રિય ઉમેદવારોની હાર.
01:01 PM
અંજારમાં વાસણ આહિરનો વિજય.
01:00 PM
વાગરા, અંકલેશ્વર, જંબુસરમાં ભાજપનો ભગવો લહેરાયો
12:52 PM
પાલનપુર બેઠક કોંગ્રેસના મહેશ પટેલે ભાજપના ગોવિંદભાઈ પ્રજાપતિને પછડાટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના મહેશ પટેલને 65179 અને ભાજપના ગોવિંદભાઈ પટેલને 59808 મત મળ્યા હોવાના અહેવાલ છે.
12:51 PM
ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલનો ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરસોત્તમ સોલંકી સામે કારમો પરાજય થયો છે. પરસોત્તમ સોલંકીનએ શક્તિસિંહને જંગી લીડથી પરાજય આપ્યો છે. આ બેઠક પર શક્તિસિંહ ગોહિલને 54200 અને પરસોત્તમ સોલંકીને 74711 મત પ્રાપ્ત થયા છે.
12:51 PM
ભાજપ 112 પર આગળ, 6 પર જીત્યું. કોંગ્રેસ 58 પર આગળ.
12:46 PM
કલોલમાં કોંગ્રેસના ઉમેદવાર બળદેવજી ઠાકોરે ભાજપના અતુલ પટેલને પાતળી સરસાઈથી પરાજય આપ્યો છે. આ બેઠક પર બળદેવજી ઠાકોરને 64162 અને અતુલ પટેલને 64006 મત પ્રાપ્ત થયા છે
12:46 PM
ઝઘડીયા બેઠક પર જેડીયુના છોટુભાઈ વસાવાએ જીત હાંસલ કરી છે. આ બેઠક પર જેડીયુના છોટુભાઈ વસાવાને 59187, કોંગ્રેસના બાલુભાઈ વસાવાને 45328 અને ભાજપના નરેન્દ્રભાઈ વસાવાને 31973 મત મળ્યા છે.
12:38 PM
કુતિયાણામાંથી એનસીપીનાં કાંધલ જાડેજાનો વિજય
12:36 PM
18મા રાઉન્ડનાં અંતે શંકરસિંહ વાઘેલા 8 હજાર વોટથી આગળ, હજુ 11 રાઉન્ડ બાકી
12:23 PM
વડોદરાના સયાજીગંજમાં પોલીસનો લાઠીચાર્જ, કરજણમાં ભાજપના સતીષ પટેલ જીત્યાના અહેવાલ બાદ થયો હતો ટ્રાફિકજામ
12:19 PM
આંકલાવ અને સોજીત્રામાં કોંગ્રેસની જીત.
12:12 PM
વાંસદામાં કોંગ્રેસનાં છનાભાઇનો વિજય.
12:12 PM
રાધનપુરમાં ભાજપનાં નાગરજી ઠાકોરનો વિજય. ભાવસિંહની હાર.
12:11 PM
વડોદરા રાવપુરામાં ભાજપનાં રાજેશ ત્રિવેદી અને ચાણસ્મામાં ભાજપનાં દિલીપસિંહ ઠાકોરની જીત.
12:10 PM
જીપીપીની આજે સાંજે રખાયેલી પ્રેસ કોન્ફરન્સ કેન્સલ.
12:08 PM
સાવલીમાં અપક્ષ ઉમેદવાર કેતન ઇનામદાર 21000ની જંગી લીડથી જીત્યા. કેતનભાઇ ભાજપની ટિકિટ ન મળતાં અપક્ષ ઉભા રહ્યા હતાં.
11:58 AM
જસદણ અને જેતપુરમાં કોંગ્રેસનો વિજય
11:52 AM
વિસાવદરમાંથી કેશુભાઇ પટેલની જીત.
11:51 AM
ભાજપ 117, કોંગ્રેસ 60 અને અન્ય 5 સીટો પર આગળ
11:39 AM
મંત્રી ફકીર વાઘેલા હારી ગયા.
11:31 AM
વિરમગામમાં કોંગ્રેસનાં તેજશ્રીબેનની જીત. ભાજપનાં પ્રાગજીભાઇની હાર.
11:28 AM
મંત્રી વજુભાઇ વાળા જીત્યા. સિદ્ધપુરમાંથી જયનારાયણ વ્યાસની હારની શક્યતા.
11:25 AM
ગૃહમંત્રી પ્રફુલ પટેલની હિંમતનગરમાંથી હાર. કોંગ્રેસ જીત્યું. રાજકોટ દક્ષિણમાંથી ગોવિંદ પટેલ જીત્યા.
11:00 AM
સુરતનાં માંડવીમાં ભાજપ 9,000 વોટથી આગળ
10:59 AM
અમિત શાહ અને મંત્રી સૌરભ પટેલની જીત
10:57 AM
નરેન્દ્ર મોદીની જીત. મોદીને 86716 અને શ્વેતા ભટ્ટને 22645 વોટ મળ્યા.
10:54 AM
ગોંડલમાં ભાજપનાં જયરાજસિંહ જાડેજાની જીત. ગોરધન ઝડફિયાની 15 હજારથી વધુ મતથી હાર.
10:34 AM
ભાજપે ખાતું ખોલ્યું. જૂનાગઢનાં માંગરોળમાં ભાજપનાં રાજેશ ચુડાસમા વિજેતા
10:18 AM
ભાવનગર ગ્રામ્યમાં શક્તિસિંહ ગોહિલ 15000 વોટથી પાછળ
10:14 AM
પાદરામાં ભાજપનાં દિનુમામા 1200 વોટથી આગળ
10:14 AM
ગોંડલમાં ભાજપનાં જયરાજસિંહ 16000 મતથી આગળ, જામનગરમાં ભાજપનાં ફળદુ 16000 મતથી આગળ
09:52 AM
સુરત પૂર્વમાંથી કોંગ્રેસ કદીર પીરજાદા આગળ, સુરત ઉત્તરમાંથી અતુલ ચોક્સી આગળ, વરાછા રોડમાંથી કિશોર કાનાણી આગળ,
09:50 AM
અમરેલીમાં કોંગ્રેસમાં પરેશ ધાનાણી 12000 વોટથી આગળ
09:48 AM
જેતપુરમાં જયેશ રાદડિયા આગળ, ધોરાજીમાં વિઠ્ઠલ રાદડિયા પાછળ
09:46 AM
બોટાદમાં કુંવરજીભાઇ બાવળિયા 6 હજાર મતે આગળ
09:43 AM
ભાજપ 107 પર અને કોંગ્રેસ 60 સીટો પર આગળ
09:42 AM
સુરતમાં લિંબાયતમાં કોંગ્રેસ આગળ.
09:34 AM
નારણપુરા બેઠકમાંથી અમિત શાહ 25,000 મતથી લીડ કરી રહ્યા છે
09:32 AM
ભાજપ 100, કોંગ્રેસ 59 અને અન્ય 7 સીટો પર આગળ
09:30 AM
સાણંદમાં ભાજપનાં કમાભાઇ 4500 મતથી લીડ કરે છે, ભાવનગર ગ્રામ્યમાંથી શક્તિસિંહ 5 હજાર વોટથી પાછળ ચાલી રહ્યા છે
09:29 AM
હિંમતનગર બેઠક પરથી પ્રફુલ પટેલ 453 મતે આગળ
09:29 AM
વટવા બેઠક પરથી પ્રદિપસિંહ 5100 મતે આગળ
09:28 AM
શક્તિસિંહ ગોહિલ ભાવનગર ગ્રામ્ય બેઠક પર પાછળ
09:28 AM
ડભોઇ અને સયાજીગંજમાં ભાજપ આગળ
09:26 AM
ભાજપ 97, કોંગ્રેસ 55 અને અન્ય 7 સીટો પર આગળ
09:23 AM
ભાજપ 86 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ
09:23 AM
ગૃહ રાજ્યમંત્રી પ્રફુલ પટેલ હિંમતનગરની સીટ પર પાછળ
09:21 AM
અબડાસામાં કોંગ્રેસનાં છબીલદાસ પટેલ આગળ
09:19 AM
કોંગ્રેસનાં ભાવસિંહ રાઠોડ રાધનપુરથી આગળ
09:16 AM
ભાજપ 84, કોંગ્રેસ 48 અને અન્ય 10 સીટ પર આગળ
09:15 AM
બનાસકાંઠા પર કોંગ્રેસ 8 સીટ પર આગળ
09:14 AM
નાંદોદમાં ભાજપનાં શબ્દશરણ તડવી આગળ.
09:14 AM
સાંસદ વિઠ્ઠલ રાદડિયા 4,000 વોટથી પાછળ
09:14 AM
ભાજપ 77, કોંગ્રેસ 40 અને 11 સીટો પર અન્ય આગળ
09:13 AM
અમરેલી દિલીપ સંઘાણી આગળ, શરૂઆતમાં પરેશ ધાનાણી આગળ હતા
09:12 AM
ગાંધીનગર ઉત્તરમાં કોંગ્રેસ આગળ
09:11 AM
ઝાલોદમાં કોંગ્રેસનાં મિતેશ ગરાશિયા આગળ
09:11 AM
વડોદરા રાવપુરામાં રાજેન્દ્ર ત્રિવેદી આગળ, ઉધનામાં નરોત્તમ પટેલ આગળ
09:10 AM
માણસામાં ભાજપ આગળ, પાલનપુરમાં ભાજપનાં ગોવિંદભાઇ, સુરતની માંગરોળમાં ગણપત વસવા આગળ, મોડાસામાં કોંગ્રેસનાં રાજેન્દ્ર ઠાકોર આગળ
09:08 AM
ઉંઝામાં ભાજપનાં નારાયણ પટેલ આગળ, બીજા રાઉન્ડનાં અંતે અર્જુન મોઢવાડિયા પાછળ
09:07 AM
કેશોદમાં ભાજપનાં અરવિંદ લાડાણી આગળ, પ્રાંતિજમાં ભાજપનાં જયસિંહચૌહાણ પાછળ
09:06 AM
જામનગર દક્ષિણમાં વસુબહેન ત્રિવેદી અને શેહરામાંથી જેઠા ભરવાડ પાછળ
09:05 AM
ભાજપ 70, કોંગ્રેસ 38, જીપીપી 9 સીટો પર લીડ કરી રહ્યા છે
09:04 AM
અંકલેશ્વર પર ભાજપનાં ઇશ્વર પટેલ આગળ ચાલી રહ્યા છે

09:04 AM
ભાજપ 62, કોંગ્રેસ 30 અને જીપીપી 5 સીટ પર આગળ
09:03 AM
કોડીનારમાં ભાજપ આગળ
09:03 AM
સિદ્ધપુરમાં આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસ પાછળ
09:02 AM
સંતરામપુરમાં કોંગ્રેસ આગળ, ગણદેવી મંગુભાઇ પટેલ પરથી ભાજપ આગળ, રાજકોટ પૂર્વમાંથી ઇન્દ્રનીલ રાજ્યુગુરુ આગળ
09:01 AM
સોમનાથમાં કોંગ્રેસ આગળ, મજૂરામાં ભાજપ આગળ, ભૂજમાં કોંગ્રેસનાં અમિર અલી આગળ, કાલાવડમાં ભાજપનાં મેઘજીભાઇ આગળ, વલસાડમાં ભાજપ આગળ
09:00 AM
ધોરાજીમાં કોંગ્રેસ સાંસદ વિઠ્ઠલ રાદડિયા પાછળ.
08:59 AM
અબડાસા બેઠક પર કોંગ્રેસ આગળ. નવસારી પર પીયુષ દેસાઇ આગળ, પાલનપુર પર ભાજપ આગળ, જૂનાગઢમાં ભાજપનાં મહેન્દ્ર મશરૂ પાછળ
08:58 AM
નરેન્દ્ર મોદી અને અમિત શાહ આગળ
08:57 AM
ભાજપ 33, કોંગ્રેસ 18 અને જીપીપી 4 સીટો પર આગળ.
08:57 AM
મોરબી અને ગોંડલમાં ભાજપ આગળ
08:56 AM
મહેમદાવાદમાંથી કોંગ્રેસ આગળ
08:55 AM
ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભાજપનાં પ્રમુખ આર.સી.ફળદુ પાછળ
08:55 AM
પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા પાછળ
08:54 AM
માણાવદરથી કોંગ્રેસનાં જવાહર ચાવડા, કુતિયાણા પર એનસીપીનાં કાંધલ જાડેજા અને કચ્છમાં ભાજપનાં તારાચંદ છેડા આગળ
08:53 AM
જીપીપી ચાર સ્થળે લીડ કરી રહ્યું છે. વાંકાનેર, ધારી, જૂનાગઢ અને વિસાવદર
08:53 AM
જૂનાગઢમાં જીપીપીનાં લલીત સુહાગિયા આગળ.
08:51 AM
ભાજપ 25, કોંગ્રેસ 14 અને જીપીપી 3 સ્થળે આગળ
08:51 AM
જીપીપીનાં ઉમેદવાર નલિન કોટડિયા ભાજપમાંથી આગળ.
08:49 AM
પારડીમાં ભાજપનાં કનુભાઇ દેસાઇ આગળ, વડગામમાં કોંગ્રેસનાં મણિભાઇ આગળ
08:49 AM
ગોંડલમાં ગોરધન ઝડફિયા સામે ભાજપનાં જયરાજસિંહ આગળ
08:48 AM
કોંગ્રેસનાં બાવકુભાઇ લાઠીમાં આગળ ચાલી રહ્યા છે
08:47 AM
લુણાવડામાંથી ભાજપનાં કાળુભાઇ આગળ
08:47 AM
સાણંદમાં ભાજપનાં કમાભાઇ આગળ
08:46 AM
વાંકાનેરમાં જીપીપીનાં ઉમેદવાર આગળ
08:46 AM
પરેશ ધાનાણી 4 હજાર વોટથી આગળ
08:45 AM
ભાજપ 11, કોંગ્રેસ 7 અને જીપીપી બે સ્થળે આગળ.
08:44 AM
શંકરસિંહ વાઘેલા કપડવંજમાં આગળ.
08:44 AM
લીંમડી અને ધાંગધ્રામાં ભાજપનાં કિરિટસિંહ અને જયંતિભાઇ આગળ.
08:43 AM
ભાવનગર સરકારી ઇજનેર કોલેજમાં મતગણતરી દરમિયાન હોબાળો. મીડિયાકર્મીઓને પ્રવેશ ન અપાતાં બબાલ.
08:42 AM
એલિસબ્રિજમાંથી રાકેશ શાહ 60 વોટથી આગળ, ધોળકાથી ભુપેન્દ્ર ચુડાસમા આગળ, માંગરોળમાં ચંદ્રિકા ચુડાસમા આગળ
08:41 AM
વિસાવદર બેઠક પર કેશુભાઇ પટેલ આગળ.
08:38 AM
વાવ અને જલાલપોર પર ભાજપ આગળ
08:37 AM
સાણંદ બેઠક પર કોંગ્રેસનાં ઉમેવાદર આગળ
08:34 AM
કાંકરેજમાં કોંગ્રેસનાં ધારશીભાઇ આગળ
08:32 AM
રાજકોટ પશ્ચિમ પરથી વજુભાઇ વાળા અને અમરેલીમાંથી કોંગ્રેસનાં પરેશ ધાનાણી આગળ.
08:29 AM
મત ગણતરીનો પ્રથમ ટ્રેન્ડ મળ્યો જૂનાગઢનાં માંગરોળથી.
08:28 AM
માંગરોળમાં રાજેશ ચુડાસમા 1078 મતે આગળ.
08:27 AM
બેલેટ મતની ગણતરી બાદ ઇવીએમ વોટ્સ ગણતરીનો પ્રારંભ.
08:26 AM
જૂનાગઢનાં માંગરોળમાં ભાજપ 617 મતે આગળ.
08:02 AM
પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ
07:55 AM
પહેલા તબક્કામાં ૭૦.૭પ% અને બીજા તબક્કામાં ૭૧.૮પ% મળી કુલ ૭૧.૭૨% મતદાન
07:55 AM
ગુજરાતમાં ૧૮૨ બેઠકોની ૩૩ સ્થળે થશે મતગણતરી
07:51 AM
1666 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો
ભાજપના 182, કોંગ્રેસના 176, જીપીપીના 167 ઉમેદવારનું ભાવિ થશે નક્કી
07:47 AM
થોડી જ વારમાં શરૂ થશે મતગણતરી