visiter

મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2013

કામ પુરી નિષ્ઠાથી નિભાવીએ

બે મિત્રો હતા. જીગરજાન મિત્રો. બંનેને એક બીજા વગર ન ચાલે એવા મિત્રો. પણ એક મિત્ર આસ્તિક હતો અને બીજો નાસ્તિક. આસ્તિક એ અર્થમાં કે એ ઇશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ રાખનારો હતો. પરમાત્માના સર્વોપરિપણાને સ્વિકારનારો હતો અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનનારો હતો. નાસ્તિક ધાર્મિક ક્રિયાકાંડનો તો વિરોધી હતો જ પરંતું ઇશ્વરના અસ્તિત્વને પણ એ માનતો ન હતો.

આસ્તિક મિત્રનો એક દૈનિક ક્રમ હતો. એ રોજ સવારે ભગવાન ભોળાનાથના મંદિરે જતો અને ત્યાં દિવો પ્રગટાવીને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરતો. બસ એની આ આંખ બંધ કરવાના સમયનો પેલો નાસ્તિક મિત્ર લાભ લેતો અને હળવેથી ફુંક મારીને દિવાને ઓલવી નાખતો. આસ્તિક દિવો પ્રગટાવે અને એ જ સમયે પેલો નાસ્તિક મિત્ર આવીને દિવાને ઓલવી નાખે આ હવે નિત્યક્રમ બની ગયો હતો.

ચોમાસાના દિવસોમાં એકવાર વહેલી સવારે ગાજવિજ સાથે વરસાદ તુટી પડ્યો. વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો. આસ્તિક મિત્ર નાહીધોઇને મંદિર જવા માટે તૈયાર થયો. પણ બહાર અનરાધાર વરસતા વરસાદને જોઇને વિચારે ચડ્યો.........." આવા વરસાદમાં મંદિરે જઇશ તો પણ પેલો નાસ્તિક આવીને મારો પ્રગટાવેલો દિવો ઓલવી નાખશે. એના કરતા આજે મંદિરે જવાનું જ ટાળું. રહી વાત પ્રાર્થનાની તો એ તો ઘેર બેઠા બેઠા પણ થઇ જ શકે. "

એણે મંદિર જવાનું ટાળ્યું. બીજી બાજું આવા વરસાદી માહોલમાં પણ પેલો નાસ્તિક મિત્ર તો પોતાનું દિવો ઓલવવાનું કામ કરવા માટે હાજર થઇ ગયો હતો. અને પોતાના મિત્રની આવવાની રાહ જોઇ રહ્યો હતો. ઘણો સમય થયો તો પણ એનો મિત્ર આવ્યો નહી. એટલે મિત્ર વતી એણે જ દિવો પ્રગટાવ્યો અને પોતે ફુંક મારીને ઓલવી નાખ્યો.

બસ આ જ ક્ષણે ભગવાન શિવ પ્રગટ થયા અને પેલા નાસ્તિક માણસને આશિર્વાદ આપ્યા. નાસ્તિક તો વિચારમાં પડી ગયો એને ભગવાનને કહ્યુ , " પ્રભું, હું તો આપને માનતો પણ નથી મને આપના અસ્તિત્વમાં પણ કોઇ વિશ્વાસ નથી ઉલટાનું આપનો ભક્ત રોજ જે દિવો પ્રગટાવે છે એને ઓલવી નાખું છું આમ છતા આપે મને કેમ દર્શન દિધા ? દર્શનનો અધિકારી તો મારો આસ્તિક મિત્ર છે.
"

ભગવાને હસતા હસતા કહ્યુ , " તું ભલે નાસ્તિક રહ્યો. પણ કામ પ્રત્યેની તારી નિષ્ઠા મને ખુબ પસંદ આવી. વરસાદ જોઇને મારા કહેવાતા ભક્તએ મારી પાસે આવવાનું માંડી વાળ્યુ પણ રોજ દિવો ઓલવાવાનું તારું કામ કરવા માટે તું સમયસર હાજર જ હતો."

મોરલ :
====

પરમાત્માની કૃપાથી જે કામ કરવાની તક મળી હોય એ કામ પુરી નિષ્ઠાથી નિભાવીએ એમાં પણ પ્રભુ રાજી જ હોય છે. હું આદર્શ ડોકટર, વકિલ, સીએ ,ઇજનેર, શિક્ષક, વેપારી, ઉત્પાદક, અધિકારી કે કર્મચારી બનીને પૂર્ણ સમર્પણ સાથે ફરજ બજાવું તો એ પણ પ્રભુના રાજીપાનું સાધન જ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો