visiter

શુક્રવાર, 12 ઑક્ટોબર, 2012

બોટાદને જિલ્લો બનાવ્યો, હવે ભાવનગરને તાલુકો બનાવી દ્યો : ભાવેણાવાસીનો આક્રોશ

ભાવનગર, તા.૧૧
૮૮ વિઘા જમીનના વિવાદની હકિકતોનો અહેવાલ સંદેશમાં પ્રસિધ્ધ થયાના પગલે ભાવનગરની રાજકીય અને બિલ્ડર્સ લોબીમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર બાબત ભાજપ-કોંગ્રેસના મોટા માથાઓ જાણતા જ હતાં, બાડાના પદાધિકારી-અધિકારીઓ સમગ્ર બાબતમાં સામેલ પણ હતાં. આમ છતાં બધુ જ મભમમાં ચાલતું હતું. હવે જ્યારે સમગ્ર બાબતનો પર્દાફાશ થયો છે ત્યારે સૌ કોઈ પોતાની જાતને બચાવવા 'હું આમાં નથી' કહી હાથ ખંખેરી રહ્યા છે. જો કે જે થવાનું હતું તે થઈ ગયું છે અને આમ જ ચાલતું રહેશે તો ભાવનગર છેવાડાનું (ટર્મીનસ) ટાઉન જ બની જશે તેમ ઉદ્યોગકારો, બિલ્ડર્સ લોબી અને બુદ્ધિજીવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
  • આંતરિક જૂથવાદ અને નબળી નેતાગીરી સામે તમામ સ્તરેથી થતો વ્યંગ
  • બિલ્ડર્સ લોબી ધુંઆપુંઆ : ચૂંટણી ફંડમાં પ્રત્યાઘાત બતાવશે
  • નેતાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉદ્યોગપતિઓને ફોલી ખાતા હોય ભાંગતા ભાવેણાને કોઈ જ નહીં બચાવી શકે
નેતા વગદાર અને વજનદાર હોય તો વગર માગણીએ પણ બોટાદ જિલ્લો બની શકે છે અને નેતાઓ નબળા પુરવાર થાય તો ભાવનગર જિલ્લામાંથી તાલુકો બની જતાં વાર નહીં લાગે તેમ સૌ કોઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસના કેટલાક નેતાઓ રિયલ એસ્ટેટના બિઝનેસમાં પહેલેથી જ છે તો કેટલાક થોડા વર્ષોમાં જોડાયા છે. વ્યવસાય કરવાનો સૌનો અબાધિત અધિકાર છે. પરંતુ લાડવો મને નહીં તો કોઈને નહીં તેવી નીતિને કારણે સમગ્ર ભાવનગરને સહન કરવું પડે છે. જૂનાગઢના વિકાસ નકશા અને એફ.એસ.આઈ.ની રજૂઆત માટે ત્યાંના કોંગ્રેસ-ભાજપ સહિતના સૌ નેતાઓ એક જુથ થઈ ગાંધીનગર રજૂઆત કરવા દોડી જાય છે, રાજકોટને મેડિકલ કોલેજ અપાવવા ભાજપ-કોંગ્રેસના આગેવાનો એક-બીજાના ગોઠણ દબાવીને ખાદીભવની પરસાળમાં ઉપવાસ પર બેસી શકે છે. પરંતુ ભાવનગરમાં ધારાસભ્ય સહિતનાને આ બાબતની જાણ પણ ન હોય તથા આચારસંહિતા લાગુ થવાના સમય બાબતે સમગ્ર મિડીયા તથા સૌ કોઈ જાણતું હોવા છતાં ભાવનગરની નેતાગીરી અજાણ હોય આ બાબત જ લાપરવાહી સુચવી જાય છે. બિલ્ડર લોબી આગામી ચૂંટણીના ફંડમાં વળતો પ્રત્યાઘાત જરૂર આપશે તેમ જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ અધિકારીઓ પદાધિકારીઓની લઈ લેવાની વૃત્તિને કારણે અનેક ઉદ્યોગકારો ભાવનગરથી વાવટો સંકેલી સુરત અને અમદાવાદ પોતાના ધંધાપાણી ગોઠવી રહ્યા છે. એક પછી એક ઉદ્યોગોને માઠી અસર થઈ રહી છે ત્યારે મહાજન, જાગૃત નેતાઓ તથા બુદ્ધિજીવીઓએ એક જુથ થઈ આ બાબતે ગંભીરતાથી વિચારે તે જરૂરી છે. હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલમાં હોય કોઈ જ વિકાસ કામો કે નીતિ જાહેર ન કરી શકાય તે સમજી શકાય પરંતુ આ જ સમય છે જ્યારે ભાવનગરના હિત ઈચ્છનારાઓએ ભેગા થઈ આગામી વર્ષોમાં ભાવનગર માટે શું કરવું જોઈએ તે વિચારી શકાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો