visiter

ગુરુવાર, 11 ઑક્ટોબર, 2012

ધો. ૩થી ૪માં ૪ વિષયનો નિયમ છતાં ૧૦ વિષયની પરીક્ષા

ભાર વગરના ભણતરની વાતો માત્ર કાગળ પર ભૂલકાંઓ અને તેના માતા-પિતા અકળાયા છે.


અમદાવાદ, બુધવાર
અમદાવાદની ખાનગી પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા ચાલુ થઈ છે. જે હજુ આગામી ત્રણ-ચાર દિવસમાં પૂર્ણ થશે. ધો. ૧-૨માં પરીક્ષા લેવા પર પાબંધી હોવા છતા ખુલ્લેઆમ પરીક્ષા લેવાઈ રહી છે. જ્યારે ધો. ૩થી ૪માં સરકારે મહત્તમ ચાર વિષયો રાખ્યા હોવા છતા શાળા સંચાલકો ૧૦થી ૧૨ વિષયો રાખે છે અને તેની પરીક્ષા પણ લે છે. જેને કારણે નાના ભુલકાઓ અને તેના માતા-પિતા ભારે ત્રાસ અનુભવી રહ્યા છે. ભાર વગરના ભણતરની વાતો માત્ર કાગળ પર જ રહી હોવાની પ્રતિતી બધાને થઈ રહી છે.
પ્રાથમિક શાળાઓમાં બે અઠવાડીયા સુધી પરીક્ષા ચાલે છે. સરકારનાં નિયમો અને આરટીઈની જોગવાઈઓ મુજબ ધો. ૩માં ગુજરાતી ગણિત અને પર્યાવરણ જ્યારે ધો. ૪માં ગુજરાતી, ગણિત, પર્યાવરણ અને હિન્દી વિષય હોય છે. ધો. ૫માં સાત વિષયો અને ધો. ૬, ૭ અને ૮માં ૮ વિષયો હોય છે. પરંતુ મોટા ભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો. ૩થી ૪માં ૩થી ૪ વિષયને બદલે ૯થી ૧૨ વિષયો હોય છે. એટલું જ નહીં આ તમામ વિષયની પરીક્ષા પણ લેવાઈ રહી છે.
૬થી ૮ વર્ષના બાળકોને આટલા બધા વિષયોની પરીક્ષા આપવી ભારે થઈ રહી છે. તેનાથી વધુ ત્રાસ ભુલકાઓનાં માતા-પિતા અનુભવી રહ્યા છે. બે અઠવાડિયા સુધી પરીક્ષાની તૈયારીનું ટેન્શન રહે છે. મુખ્ય વિષયો સિવાયનાં કમ્પ્યુટર, ડ્રોઈંગ, જનરલ નોલેજ, અંગ્રેજી, જનરલ અંગ્રેજી, ગણિત, હિન્દી, ઈએનવી જેવા વિષયોને લીધે માસુમ બાળકોમાં જબરદસ્ત તનાવ જોવા મળે છે. જેને લઈને ઘણા બાળકો રીતસરના બીમાર થઈ ગયા છે.
શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, ખાનગી શાળાઓ નિયમોનો ભંગ કરીને આ તમામ વિષયો ચલાવી રહી છે. પાઠયપુસ્તક મંડળ આ બધા પુસ્તકો છાપતું જ નથી. પરંતુ ગણ્યા ગાંઠયા ખાનગી પ્રકાશકો આ પ્રકારનાં પુસ્તકો છાપે છે. તેઓને ફાયદો કરી, પોતાને પણ ફાયદો થાય તે માટે આટલા બધા વિષયો શાળામાં રખાતા હોવાનું ચિત્ર ઊભું થયું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો